દેશભરમાં 2023ના અંત સુધીમાં કુલ 200 જેટલી વંદેભારત ટ્રેન દોડતી હોવાનો સંકેત રેલવે મંત્રી દર્શના જરદોશએ આપ્યો છે. આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે ભારત ટ્રેન દોડાવવાનું લક્ષ્યાંક પણ હોવાનું જણાવ્યું હતું. જેમાંથી 200 ટ્રેન તો આ એક જ વર્ષમાં તૈયાર થઇ જશે. આ ઉપરાંત તેમણે વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઇને જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનની ડિઝાઇન જ એવી બનાવાઇ છે કે, જેમાં અકસ્માત વધુ દેખાય છે. જ્યારે બીજી સામાન્ય ટ્રેનોમાં પણ અકસ્માતો થાય જ છે પરંતુ પોલાદની મજબૂત બોડી હોવાના કારણે આ અકસ્માતો સ્પષ્ટ રીતે દેખાતા નથી.
30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારતને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ દેશમાં કુલ 5 જેટલી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જો કે, આ ટ્રેન શરૂ થઇ તેના ત્રીજા જ દિવસે અમદાવાદના વટવા પાસે વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો અને એન્જિનના ભાગે પશુ ટકરાયા હતા. ત્યારબાદ સમયાંતરે આ ટ્રેન સાથેના અકસ્માતનો આંકડો વધતો જ ગયો હતો અને આજ સુધીમાં 7થી વધુ અકસ્માત થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનમાં અકસ્માત ન થાય તે માટે ગુજરાતમાં સમગ્ર રેલવે ટ્રેક ઉપર બેરીકેટ લગાવવા માટે પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, જેની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવેશે તેવું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.