સુરતના રસ્તા ઉપર રખડતા ઢોરોને કારણે અનેક સમસ્યાઓ આવી રહી હતી.શહેરમાં એવો એક પણ વિસ્તાર નથી કે, જ્યાં રસ્તા ઉપર રખડતા ઢોર નજરે ન પડે. રખડતા ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા તેમજ ઘણી વખત ઢોર દ્વારા રાહદારી કે વાહન ચાલકને અડફેટે લેવાની ઘટનાઓ પણ બની હતી. તેને કારણે ઘણી વખત લોકોના જીવ પણ ગયા હોવાના કિસ્સાઓ છે. ઇજા થવાના પણ કિસ્સાઓ સામે આવ્યા હતા. તેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી તમામ રખડતા ઢોરોને અંકુશમાં લાવવા માટે કડકાઈથી કામગીરી કરવામાં આવી હતી. તમામ મહાનગરપાલિકાને 100 દિવસમાં ઢોરોને પકડવાની કામગીરીનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.જેમાં સુરતે 3 મહિનામાં 3250 ઢોરને પકડ્યાં હતાં.
ટીમો સવાર સાંજ કામ કરે છે
સુરત મહાનગરપાલિકા દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે. રખડતા ઢોરોને અંકુશમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરાયો છે. કર્મચારીઓ 5 પાળીમાં કામ કરી રહ્યા છે. બે ટીમ સવારે, 2 ટીમ સાંજે અને 1 ટીમ રાતે ઢોર પકડવાની કામગીરીમાં લાગે છે. શરૂઆતમાં કોર્પોરેશન દ્વારા તમામ ઢોરનું રજીસ્ટ્રેશન કરવા માટે પશુઓના કાન પર પ્લાસ્ટિકના ઈયર ટેગ લગાડવામાં આવતા હતા. પરંતુ પશુઓના માલિકો દ્વારા યેનકેન પ્રકારે તે ટેગ કાઢી નાખતા હતા. જેથી કરીને તેમને વધુ દંડ ભરવો ન પડે. પરંતુ હવે કોર્પોરેશન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જે અંતર્ગત રેડિયો ફ્રિકવન્સી ચીપ પશુઓમાં લગાડવામાં આવશે. પશુઓની ચામડી નીચે આ ચીપને ઇન્સર્ટ કરી દેવામાં આવે છે. જે પશુમા કાયમી સ્વરૂપે ફિટ થઈ જાય છે. જેથી પશુ ઉપર નિયંત્રણ લાવવામાં સરળતા રહે છે.
દંડની રકમ વધારાઈ
રખડતા ઢોર ઉપર અંકુશ લાવવા માટે દંડની જોગવાઈમાં ધરખમ વધારો કરાયો છે. ઢોર બીજી વખત પકડાય તો પહેલાના દંડ કરતાં બમણા દંડ વસૂલવામાં આવે છે. જેટલી વખત પશુ પકડાઈ તેટલા ગણો દંડ ફટકારવાનો શરૂ કરાયો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા મુજબ મોટા ઢોર માટે 32 ફૂટ જેટલી જગ્યા જરૂરી છે. ઢોલના માલિકો દ્વારા આટલી પશુઓ માટે ચોક્કસ જગ્યા રાખવી પડશે. જેથી કરીને તેમને બહાર રખડતા છોડી દેવામાં નહીં આવે. રખડતા ઢોરો ઉપર નજર રાખવા માટે હવે દ્વારા ઉપયોગ કરવામાં આવશે.
પશુઓને પાંજરાપોળ પણ મોકલી દેવાય છે
એપ્રિલ-સપ્ટેમ્બર 2021 સુધીમાં ઢોર પાર્ટી દ્વારા 2000 જેટલા ઢોરોને પકડવામાં આવ્યા હતા. પશુઓના માલિકો દ્વારા દંડની રકમ ચૂકવતા 1000 ઢોરને છોડી દેવાયા હતા. દંડ પેટે 19.58 લાખ વસૂલવામાં આવ્યા હતા. તેમજ 907 જેટલા ઢોરોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. સુરત કોર્પોરેશન દ્વારા પાંજરાપોળમાં જે પશુ રાખવામાં આવે છે. તેની સારસંભાળ માટે એક પશુ દીઠ મહિને રૂપિયા 3000 ચૂકવવામાં આવે છે. રખડતા ઢોરોને ઝડપી પાડવા દરમિયાન પશુના માલિકો અને કર્મચારીઓ વચ્ચે સતત ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા હતા.
34 લાખથી વધુ વસૂલાયા
કોર્પોરેશનના કર્મચારીઓને ઢોરોને સરળતાથી ઝડપી પાડી તેના માટે પોલીસ બંદોબસ્ત સહિત એસઆરપીની ટીમ ફાળવવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે પણ હવે રખડતા ઢોરોને પકડવા માટે જાય છે. ત્યારે એસઆરપીની ટીમને સાથે લઈને જાય છે. જેથી કરીને પશુના માલિકો અને તેમના વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય અને શાંતિપૂર્ણ રીતે કામગીરી કરી શકાય. કોર્પોરેશનને એસઆરપીની ટીમ ફાળવ્યા બાદ ઢોરોને પકડી પાડવાની સંખ્યામાં 2 ગણો વધારો થયો છે. ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022 સુધીમાં 3250 જેટલા ઢોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જે કામગીરી પહેલા કરતા બમણી થઇ ગઈ છે. જાન્યુઆરી 15 2022 સુધીમાં 1389 છોડવામાં આવ્યા છે, તેમ જ તેમની પાસેથી રૂપિયા 34.28 લાખ વસૂલવામાં આવ્યા છે. તથા 1721 ઢોરને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.
ગંભીરતાપૂર્વક કામગીરી
દબાણ ખાતાના અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક રખડતા ઢોરોની સમસ્યામાંથી લોકોને રાહત આપવા માટેની કામગીરી થઇ રહી છે. 100 દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે તે નોંધનીય રહી છે. આગામી દિવસોમાં એસઆરપીની મદદથી તેમજ રેડિયો ફ્રિકવન્સી ચીપની મદદથી ઢોરોનું રજીસ્ટ્રેશન ખૂબ જ સરળ અને ચોક્કસ બનશે. રાજ્ય સરકાર દ્વારા જે નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે તે તમામનો યોગ્ય રીતે સુરત શહેરમાં અમલ થાય તેના માટેની અમે કામગીરી કરી રહ્યા છે. જરૂર પડે ત્યાં વધારાના કર્મચારીઓને પણ કામે લગાડીને રખડતા ઢોરને પાંજરે પુરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.