હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે શહેરની 450થી વધુ આંગડિયા પેઢી અને તેમની વિવિધ શહેરોમાં આવેલી શાખાઓમાં કામ ઠપ્પ થઈ ગયા છે, જેના કારણે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સંસ્થાના માલિકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં રોકડ સહિતની વસ્તુઓની હેરફેર કરવામાં આવતી હોય તો સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા અટકાયત કરીને પુછપરછ કરવામાં આવે હોય છે. સામાન્ય દિવસોમાં આંગડિયા પેઢીઓ દ્વારા રોકડ, હીરા અને જ્વેલરી સહિતની વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી હોય છે. પરંતુ ચૂંટણીની આચારસંહિતને કારણે હાલમાં શહેરની આંગડિયા પેઢીઓમાં આ કામગીરી મોટાપાયે ઠપ્પ થઈ ગઈ છે.
આંગડિયા એસોસિયશન સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, સુરતમાં 450 જેટલી નાની મોટી આંગડિયા પેઢીઓ કાર્યરત છે. જેઓ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં ઓફિસો ધરાવે છે. હાલ આ તમામ પેઢીઓનું કામ લગભગ ઠપ્પ થઈ ગયું છે. જેને કારણે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરની એક આંગડિયા પેઢીના માલિકે આ અંગે જણાવ્યું હતું કે, ‘જો સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા માલ પકડવામાં આવે અને માલ જપ્ત કરી દેવામાં આવે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલા માટે અમે હાલ પુરતું કામ બંધ કરી દીધું છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.