એર એશિયાએ સુરતથી દિલ્હી, બેંગ્લોર, કલકત્તા માટેની ફ્લાઇટ શરૂ કરી છે અને ગોવાની ફ્લાઇટ પણ શરૂ કરશે. જેથી સુરતીઓને મોટી આર્થિક રાહત મળી છે. અન્ય એરલાઇન્સ કંપનીઓએ ભાડામાં ઘટાડો કર્યો છે. 20 દિવસ પહેલા દિલ્હીથી સુરતનું ભાડુ 23 હજારને પહોંચી ગયુ હતું, જે નવી ફ્લાઇટો શરૂ થયા બાદ હવે માત્ર 4140 ઉપર આવી ગયું છે. સુરત એરપોર્ટ ઉપર સતત ફ્લાઇટો ઘટવાના સમાચારો વચ્ચે એર એશિયાએ નવી ચાર ફ્લાઇટ શરૂ કરવા જાહેરાત કરી હતી, 4 માર્ચ-2023થી બુકીંગ પણ શરૂ કરી દેવાયું છે.
એર એશિયાએ દિલ્હી, બેંગ્લોર અને કલકત્તા માટે બુકીંગની જાહેરાત કરતાની સાથે જ અન્ય એરલાઇન્સ કંપનીઓ જેવી કે ઇન્ડિગો, જેટ એરવેઝ સહિતની અન્ય કંપનીઓએ પણ ભાડામાં ઘટાડો કર્યો છે. તહેવારોની સિઝનમાં ઇન્ડિગો સુરતથી દિલ્હી વચ્ચે 8 હજારથી લઇને 23 હજાર સુધીનું ભાડુ વસૂલતી હતી, પરંતુ હવે મુસાફરોને અન્ય વિકલ્પો માળતા ઇન્ડિગોએ પણ પોતાની ફ્લાઇટના ભાડામાં ઘટાડો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોની મજબૂરીનો ફાયદો અને વધુ એરલાઇન્સ કંપનીઓ ન હોવાને કારણે ફ્લાઇટના ભાડામાં જે વધારો થતો હતો તે એવરેજ 4 હજાર ઉપર આવી પહોંચ્યો છે. જેના કારણે લોકોને ભાડા ઉપરાંત ફ્લાઇટમાં અન્ય સારી સુવિધાઓ પણ મળશે અને અન્ય વિકલ્પો હોવાને કારણે તેઓ પોતાના સમય પ્રમાણે પોતાના ગંતવ્ય સ્થળે જઇ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.