બુધવારે શહેરમાં કોરોના સંક્રમિત 3 જણાનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જો કે, આ તમામ દર્દી અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા હોવાનો પાલિકાનો દાવો છે. આ ઉપરાંત બે દર્દી એવા છે, જેમના પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા છે, પરંતુ તેમને રેકોર્ડ પર બતાવાયા ન હતા. પનાસનો યુવક ટીબીની, પાલ વિસ્તારના વૃદ્ધને એટેક આવ્યો હતો જ્યારે ઉમરગામના આધેડની ગેંગરીનની સારવાર ચાલી રહી હતી.
મૃતકો 35થી 70 વર્ષની વયજૂથના
પનાસનો યુવક ટીબીની સારવાર લેતો હતો પનાસ ગામ ખાતે રહેતા 35 વર્ષીય યુવકને ગઈ 7 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં ટીબી તેમજ અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરાયો હતો. આ યુવકનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ હતો. બુધવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
પાલ વિસ્તારના વૃદ્ધને એટેક પણ આવ્યો હતો
પાલ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને 8 જાન્યુઆરીએ હ્યદય રોગનો હુમલો થતાં ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. સારવાર દરમ્યાન તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની સારવાર દરમિયાન બુધવારે મૃત્યુ નીપજ્યું હતું.
ઉમરગામના આધેડને ગેંગરીન પણ હતું
ઉમરગામ હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધ ગેંગરીનની સારવાર માટે સ્મીમેરમાં 6 જાન્યુઆરી દાખલ થયા હતા અને તેમનું બુધવારે મોત નીપજ્યું હતું.
બે દર્દીઓનાં મૃત્યુ સત્તાવાર જાહેર ન કરાયાં
ઉમરાના આધેડ તથા ડાયાબિટીસ, હાયપર ટેંશનવાળા ઉચ્છલના કોવિડ પોઝિટિવ 63 વર્ષીય વૃદ્ધાનું સ્મીમેરમાં મોત થયું હતું. બંનેને સત્તાવાર જાહેર કરાયા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.