કતારગામના બાઈક સવાર યુવકને પુણા કડોદરા રોડ પર ફ્રુટ માર્કેટ પાસે બેફાપણે આવેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે ખોડિયારકૃપા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય જૈનેશભાઈ રસિકભાઈ સોની બાઇકના શો રૂમમાં નોકરી કરતા હતા. જૈનેશભાઈ રવિવારે રાત્રે પોતાની બાઈક પર ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ પૂણા કડોદરા રોડ પર પસાર થઇ રહ્યાં હતા ત્યારે મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટ સામે બેફામ આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમા લઈ લીધા હતા અને નાસી છુટ્યો હતો. અકસ્માતમાં જૈનેશભાઈ ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પુણા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જૈનેશભાઈના ચાર વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બનાવ અંગે જૈનેશભાઈના મામા હિરેનભાઈ જયેશભાઈ પારેખે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.