પાંડેસરામાં બનેલી ઘટનામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. જોકે વિદ્યાર્થિનીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પાંડેસરા પોલીસથી મળેલી માહિતી મુજબ બિહારના વતની અને પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે રહેતા પરમાત્મા પાંડે ડાઈંગ મિલમાં કામ કરે છે. પરમાત્મા પાંડેના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમની 16 વર્ષીય પુત્રી સુપ્રિયા ઘર નજીક સનફ્લાવર સ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. રવિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સુપ્રિયા બાથરૂમમાં ગઈ હતી.
જોકે ઘણો સમય સુધી તે બાથરૂમમાંથી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો અને બુમ પણ પાડી હતી. પરંતુ બાથરૂમમાંથી સુપ્રિયાએ કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો. જેના કારણે તેની માતાને કઇક અજૂગતુ થયાનું લાગતા આખરે બાથરૂમના દરવાજાની કડી તોડી દરવાજો કોલ્યો હતો. જેમાં બાથરૂમમાં સુપ્રિયા ફાંસો ખાધેલી હાલતમાં બેભાન મળી આવી હતી. જેથી પરિવાર દ્વારા તેણીને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
ધોરણ 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે સુપ્રિયાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.