સુરત એરપોર્ટ ઉપર તા. 29 જાન્યુઆરી-2020ના રોજ કસ્ટમ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અહીં ભવ્ય ડોમેસ્ટીક કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં સુરત એરપોર્ટને 80 લાખનું નુકસાન થયું છે. સુરત કાર્ગો ટર્મિનલની કેપીસીટી 35 હજાર ટન સામાનની હતી, પરંતુ હાલમાં માત્ર 14 ટકા જ એટલે કે માત્ર 5 હજાર ટનનું જ ટ્રાન્સ્પોર્ટેશન થઇ રહ્યું છે. ભવિષ્યમાં સુરત કાર્ગો ટર્મિનલનું વિસ્તરણ કરવાની વિચારણા છે, પરંતુ હાલમાં જ પુરેપુરુ 100 ટકા ઉપયોગ થતો ન હોવાથી તેની ઉપર પહેલાથી જ પાણી ફરી વળ્યું છે. હાલમાં સુરત કાર્ગો ટર્મિનલથી ડોક્યુમેન્ટ, ઇલેક્ટ્રોનિક પાટ્સ, ઓટોમોબાઇલ પાટ્સ, ઝીંગા અને સિઝન ફૂટનું ટ્રાન્સ્પોર્ટેશન થઇ રહ્યું છે.
ફ્લાઇટની સંખ્યા પણ 40થી ઘટીને 12 થઈ ગઈ
સુરત એરપોર્ટ ઉપર ગત વર્ષની સરખામણીમાં ઓછી ફ્લાઇટો ઉડાન કરી રહી હોવાનો પ્રશ્ન પણ ચિંતાનો વિષય બન્યો છે. એરપોર્ટ ઉપર ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં અંદાજિત 35થી 40 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ રહેતી હતી. જે ચાલુ વર્ષે માત્ર 10થી 12 જેટલી જ થઇ ગઇ છે. જોકે, આ બાબતે સુરત એરપોર્ટ ઓથોરીટીનાં જણાવ્યા મુજબ, પહેલાની સરખામણીમાં હાલમાં વધુ કેપીસીટીની ફ્લાઇટો આવી રહી છે. જે કારણે પણ ફ્લાઇટ ઘટી ગઇ છે. આ ઉપરાંત દિલ્હી એરપોર્ટ ઉપર ઈન્ડિગો ફ્લાઇટોની 30 જેટલા વિમાનોના એન્જીન બંધ પડી ગયા હોવાથી તેઓ સુરત આવી શકતા નથી. આ કારણે પણ ફ્લાઇટ ઘટી ગઇ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.