શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા 255 રત્નકલાકારોના પરિવારોને જેમ-જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન અને ડાયમંડ એસોસિએશન 25-25 હજાર રૂપિયાની રોકડ સહાય મળી કુલ 63.75 લાખ રૂપિયાની મદદ કરી હતી. મોટા ભાગના રત્નકલાકારો 24થી 45 વર્ષની ઉંમરના હતાં.
કોરના કાળમાં શહેરમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. અમુક પરિવારોમાં ઘરના મોભીનું જ કોરોનાથી અવસાન થયું છે. જેથી તેમની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. આ પરિવારોને મદદ મળી રહે તે માટે માટે જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલિફ ફાઉન્ડેશન અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.
આ પ્રયાસના ભાગ રૂપે સૌ-પ્રથમ હીરા સાથે સંકળાયેલા રત્નકલાકારો, હીરા દલાદ અને હીરા કંપની સાથે સંકળાયેલા હોય અને મૃત્યુ પામ્યા હોય તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં 255 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમને 25-25 હજાર રૂપિયા ડાયરેક્ટ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતાં.
મૃતકોમાં એકાઉન્ટ સહિતના કામ કરનારાઓનો પણ સમાવેશ
શહેરમાં કોરના કાળમાં રત્નકલાકારો, ડાયમંડ કંપનીમાં એકાઉન્ટમાં કામ કરનાર, ઓફિસમાં કામ કરનાર અને ડાયમંડ કંપનીઓમાં જોડાઈને હીરા કટ એન્ડ પોલિશ્ડ સિવાય બીજૂં કામ કરતાં હોય તેવા વ્યક્તિઓ જો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તો તેમને આર્થિક રીતે મદદ કરવામાં આવી છે. શહેરની નાની મોટી હીરા કંપનીઓ સાથે સંકળાયેલા 255 લોકોમાંથી મોટા ભાગના 25થી 45 વર્ષ ઉંમર સુધીના છે.
પરિવારમાં કોઈ કમાવવાવાળું ન હોય તેવાને પ્રાધાન્ય
સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ કહ્યું હતું કે,‘કોરોનામાં અનેક રત્નકલાકારો મૃત્યુ પામ્યા છે. જેમાં ખાસ કરીને જેમના પરિવારમાં કમાવાવાળું કોઈ બચ્યું ન હતું તેવા મૃત્યુ પામનારા રત્નકલાકારોના પરિવારને આર્થિક રીતે મદદ કરવામાં આવી છે.’
273માંથી 18 શંકાસ્પદ અરજીઓ રિજેક્ટ કરાઈ
કોરોનામાં મૃત્યુ પામનારા શહેરના રત્નકલાકારોના પરિવારજનો પાસેથી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં શહેરમાંથી કુલ 273 અરજીઓ આવી હતી. જોકે, ચકાસણી દરમિયાન આ તમામ અરજીઓમાંથી 18 અરજીઓ શંકાસ્પદ જણાતા તેમને રદ કરીને બાકીના 255 ફેમિલીને મદદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.