સુરત જિલ્લામાં 6 માર્ચના રોજ વાતાવરણમાં અચાનક બદલાવ થતાં માવઠુ થયું હતું. ગાજ વીજ સાથે જોરદાર પવન ફુંકાવા સાથે વરસાદી ઝાપટા પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતાં. જેમાં સૌથી વધુ વરસાદ ઉંમરપાડામાં 9 મિમી જેટલો નોંધાયો હતો.
વરસાદને કારણે ખાસ કરીને કેરીના ઊભા પાકમાં કારણે ખેડૂતો ચિંતિત થયા હતાં. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગત બે દિવસથી વાદળછાયુ વાતાવરણ હોય. સોમવારના રોજ અચાનક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતાં વાદળો છવાઈ ગયા હતા.
પવનના સૂસવાટાઓ શરૂ થઈ ગયા હતાં તેમજ વાદળોની ગર્જના પણ થઈ હતી. આ દરમિયાન જિલ્લામાં કેટલાક તાલુકામાં વરસાદ નોધાયો હતો. જેમાં ઉંમરપાડામાં 9 મિમી, ઓલપાડમાં 1 મિમી, ચોર્યાસીમાં 1 મિમી અને પલસાણામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.
ભરબપોરે અંધારૂ છવાયું | કીમમાં ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટું, ઘરોના પતરા ઉડ્યા
સોમવારે જિલ્લા સહિત કીમ વિસ્તારના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો.બપોરે 3 કલાકે અંધારું છવાઈ જવા સાથે ધૂળની ડમળી ઉડતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.પુરઝડપે પવન ફૂંકાતા વાહન હંકારવામાં તકલીફ ઊભી થઈ હતી. કેરીના પાકને નુકશાન ની ભીતિ જોવાઈ રહી છે. કીમ વિસ્તારમાં વીજળી ડુલ થઈ જવા સાથે કેટલાક ઠેકાણે પતરા ઉડવાના બનાવ પણ બન્યા હોવાનું જાણવા મળે છે.
હોળી પર પ્લાસ્ટિક ઢાંકવાની નોબત
સોમવારે હોલિકા હદન કરાય તે પૂર્વે જ વરસાદ ખાબકતા હોળી પર પ્લાસ્ટિક ઢાંકવું પડ્યું હતું.
જોરદાર પવનમાં કેરી ખરી ગઈ
સુરત જિલ્લાની આંબાવાડીઓમાં કેરીનો તૈયાર થયેલો પાક ખરી પડતા ખેડૂતોને ભારે નુકશાન
માળિયે મુકેલી છત્રી કાઢવી પડી
ભર ઉનાળે વરસાદ ખાબકતા લોકોએ માળિયે મુકી દીધેલી છત્રી પાછી કાઢવીની નોબત આવી
તાપી જિલ્લો - વ્યારા સહિત તમામ તાલુકાઓમાં વાતાવરણમાં પલટાની સાથે ઠેર-ઠેર માવઠું
વ્યારા/કુકરમુંડા - તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ,ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં હોળીના પાવન તહેવારના દિવસે અચાનક વાતવરણમાં પલટો આવતા જ વાતાવરણમાં કાળા વાદળ છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો.તેમજ કોમસમી વરસાદ વરસવા લાગ્યો હતો. ડોલવણ વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે વરસાદનું ઝાપટું આવ્યું હતું. હાલ આંબા પર કેરીનો મોર આવ્યો હોય તેવા સમયે પવનના કારણે મોર ખરી પડવાની શક્યતા ને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતી સર્જાઇ રહી છે. વ્યારા નગરમાં હળવા જાગતા અને કારણે વ્યારાનગર પર માર્ગો પર પાણીના કારણે વાહનો સ્લીપ થવાના બનાવવા પણ બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.