બારડોલીના લીમડા ચોક ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળામાં 624 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શૌચાલય છે. ગંદકીથી ખદબદતા શૌચાલયમાં નળ તો હતા પરંતુ પાણી આવતું ન હોવાના કારણે બાળકોએ ઘરે શૌચ કરવા જવાની નોબત આવી હતી. જે સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા શાળાની મુલાકાત લઈ વાલીઓ સાથે વાતચીત કરી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને પગલે શિક્ષણ વિભાગ કામે લાગ્યું હતું . અને તાત્કાલિક શૌચાલય સાફ કરાવી પાણી પણ ચાલુ કરાયું હતું.
વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ પગલા લેવાતા ન હતા
બારડોલી નગરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા એટલે લીમડા ચોક ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળા. જે શાળામાં 624 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શૌચાલય બનાવાયેલ છે. જે શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નળમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતા ન હતા. વિદ્યાર્થીઓને શૌચ લાગે ત્યારે તેઓ ઘરે જઈ શૌચ કરી ફરી શાળામાં આવી અભ્યાસ કરે છે. વાલીઓ દ્વારા શાળાનાં શિક્ષકોને આ મામલે રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું.
દિવ્યભાસ્કરનો અહેવાલ જોઈ અધિકારીઓ દોડ્યા
જે મામલે દિવ્ય ભાસ્કર દ્વારા ગતરોજ શાળાની મુલાકાત લઈ વાલીઓ સાથે ચર્ચા કરી એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં પગલે બારડોલી તાલુકા શિક્ષણ અધિકારી શાહર દેસાઈએ તાત્કાલિક બી.આર.સીને શાળાની મુલાકાત લેવા જણાવી લેખિતમાં રિપોર્ટ કરવા જણાવ્યું હતું. બી.આર.સી શાળા ખાતે પહોંચે તે પહેલાં શાળાના આચાર્ય દ્વારા શૌચાલયની સાફ સફાઈ કરી દેવામાં આવી હતી. અને પાણી પણ શરૂ થઈ ગયું હતું. ત્યારે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પડતી હાલાકી દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દુર થતા વાલીઓએ પણ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો. જૂનો અહેવાલ જોવા અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.