સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેડવાસણ ગામે ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતાં વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃત દીપડાનો કબ્જો મેળવી વધુ કાર્યવાહી આરંભી હતી.
દીપડો મળી આવતાં વનવિભાગ ઘટનાસ્થળે દોડ્યો
ચોમાસાની મોસમ શરૂ થતાં હવે દીપડા જેવા વન્ય પ્રાણીઓની વધુ એક વાર હાજરી સુરત જિલ્લામાં જોવા મળી હતી. જિલ્લાના મહુવા તાલુકાના દેડવાસણ ગામે શંકરભાઈ દુત્યાભાઈ પટેલનું ખેતર આવેલું છે. જે શેરડીના ખેતરમાંથી ગતરોજ ગુરૂવારે મોડી સાંજે મૃત દીપડો મળી આવ્યો હતો. મૃત દીપડો મળી આવતા ખેડૂત દ્વારા મહુવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ખેતરમાં જઈ દીપડાની તપાસ કરતાં બે વર્ષનો અને નર દીપડો હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગની ટીમે મૃત દીપડાનો કબ્જો મેળવી પી.એમ કરી અગ્નિસંસ્કાર કર્યા હતા. જો કે પી.એમ રિપોર્ટમાં દીપડાનું કુદરતી મોત થયાનું કારણ બહાર આવ્યું હતું. મહુવા તાલુકાના ખેતરાડી વિસ્તારમાં વધુ એક વાર દીપડાની હાજરી જોવા મળતા પશુ પાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.