શહેરના પીપલોદ ખાતે કારગીલ ચોક પાસે શનિવારે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે બે રાહદારીઓને કચડી નાખ્યા હતા. બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ચાલક બંને યુવકોને 100 મીટર સુધી ઘસડી ગયો હતો.
ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા
પીપલોદ કારગીલ ચોક પાસે મોડી રાત્રે એક કાર પૂરપાટ જતી હતી. દરમિયાન તેની અડફેટે બે રાહદારીઓ ચડ્યા હતા. જેને કાર ચાલકે 100 મીટર સુધી ઘસડી ગયો હતો. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા તપાસ શરૂ કરી છે.
એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
બંને મૃતકો પૈકી એક મૂળ ઉત્તરાખંડનો વતની છે. જ્યારે બીજો સુરત જિલ્લાનો વતની છે અને પાર્લે પોઇન્ટની હોટલમાં કામ કરે છે. જેમા એકનુ નામ પરેશ માલવી અને બીજાનું નામ ગોવિંદ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મળતી માહિતી અનુસાર પરેશ છેલ્લા નવ વર્ષથી હોટલમાં નોકરી કરતો હતો. પરેશ ઉમરા ગામમાં ભાડેના મકાનમાં પત્ની અને એક સંતાન સાથે રહે છે. જ્યારે ગોવિંદ 8 વર્ષથી હોટલમાં નોકરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.