બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં 42થી વધુનાં ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે. જેને લઈ રાજ્યના તમામ જિલ્લાની પોલીસ હરકતમા આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કઠોદરા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી મળી આવતા કીમ પોલીસ મથકના પી.એસ.આઈ તેમજ બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગામની સીમમાંથી દારુની ભઠ્ઠીઓ મળી આવી
તાજેતરના ભૂતકાળમાં બોટાદ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોને ઝેરી કેમિકલની અસર થતા અત્યાર સુધીમાં 42ના મૃત્યુ નોંધાયા છે. ત્યારે આખા ગુજરાતમાં હરકતમાં આવેલ પોલીસ તંત્રએ દેશીદારુનું દૂષણ ડામવા કડક પગલાં શરૂ કર્યા છે. ઠેર-ઠેર ગામડે ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ નેસ્તનાબૂદ કરવા મોહિમ શરૂ કરાઈ છે. તેવામાં કીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ કઠોદરા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.
પોલીસ પર કડક એક્શન લેવામાં આવી
સુરત જિલ્લા ડી.એસ.પી હિતેશ જોયસર દ્વારા કીમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ પી.જે.પંડ્યા, હેડ કોન્સ્ટેબલ અનિલ વસંતભાઈ અને નિલેશકુમાર રામુભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોહીબીઝનની પ્રવૃત્તિને નાબૂદ કરવામાં નિષ્ફળ રહેલ પી.એસ.આઈ તેમજ બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.