બારડોલીની મીંઢોળા નદીમાં માછીમારો દ્વારા માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં 8 ફૂટ લાંબો સાપ ફસાયો હતો. જેની જાણ ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને કરવામાં આવતા 2 કલાકનાં રેસ્ક્યુ બાદ જાળને કાપી સાપને બચાવી લેવામાં આવ્યો અને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યો હતો.
બારડોલીના રામજી મંદિરના પાછળનાં ભાગેથી મીંઢોળા નદી વહે છે. આસપાસમાં રહેતા લોકો તેમજ માછીમારો નદીમાંથી માછલી પકડવા માટે નદીમાં જાળ નાખતા હોય છે. જે જાળમાં ગતરોજ એક 8 ફૂટ લાંબો ધામણ નામનો સાપ ફંસાયો હતો. જાળમાં ફસાયેલા સાપને જોઈ લોકો ગભરાયા હતા. સાપને જાળમાં ફસાયેલો જોઈ શેઠફળિયામાં રહેતા હિરેનભાઈ પારવીએ તાત્કાલિક ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ તેઓની ટીમના સભ્ય જય રાઠોડ અને ભાવિક રાઠોડ સ્થળ પર પહોંચ્યા હતા. 2 કલાકની જહેમત કરી જાળને કાપી સાપને સહીસલામત બચાવી લેવાયો હતો. ત્યારબાદ તેન સામાજિક વનીકરણનાં આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને જાણ કરી તેઓના માર્ગદર્શન હેઠળ સાપને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.