બલેશ્વર ગામે ગેલેરીમાં સૂતેલી બાળકી ઉંઘમાં ચોથામાળેથી પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. પલસાણા તાલુકાના બલેશ્વર ગામે બિલાલ નગરમાં દિનેશભાઇની બિલ્ડિંગના ચોથે માળે આવેલ 38 નંબરની રૂમમાં રહેતી રીટાબેન મનોજ હરિલાલ યાદવ( મૂળ આજમગઢ) બે સંતાનો 9 વર્સીય મોટો પુત્ર શિવમ અને 5 વર્ષીય નાની બાળકી અંજલિ સાથે રહે છે. ગત રવિવારના રોજ રાત્રી દરમિયાન પોતાના બને બાળકોને ગરમી લાગતી હોવાથી બંને બાળકોને રૂમની બહારની ગેલેરીમાં સુવડાવ્યા હતા અને પોતે રૂમનો દરવાજો ખુલ્લો મૂકી રૂમમાં સૂતી હતી.
રાત્રી દરમિયાન નાની દીકરી અંજલિ એકાએક ઊંઘમાં નીચે પટકાય ગઈ હતી. રાત્રીના 12 વાગ્યાના અરસામાં પોતાના બાળકોને ગેલેરીમાંથી રૂમની અંદર લેવા માટે માતા બહાર ગઈ તો બે બાળકો પૈકી મોટો દીકરો શિવમ જ સૂતેલો મળી આવ્યો હતો. માતાએ આમતેમ શોધખોળ કરતા અંજલિ બિલ્ડિંગના નીચેના ભાગે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. માતાએ તરત દીકરીને સારવાર માટે પલસાણા આરોગ્ય કેન્દ્ર પર લઈ જતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે બાળકીની માતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.