વિજયનગરમાં કલેક્ટરના વનવે ટ્રાફિકના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા વેપારીઓ અને આમ લોકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. જેમાં એસ.ટી.બસોનું બીએસએનએલ તરફથી બસ સ્ટેશન પર આવવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના એકતરફી આવાગમનના આદેશોનું પાલન કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિજયનગર ગામમાં સાંકડા રસ્તાના કારણે કલેક્ટર દ્વારા વર્ષોથી એકતરફી આવાગમન માટેનું જાહેરનામું પાડી ભારે વાહનો માટે સવારે સાતથી રાત્રિના સાત વાગ્યા સુધી છતરીયાથી બીએસએનએલ ત્રણ રસ્તા તરફ વનવે રૂટ જાહેર કરાયો છે. જેમાં એસ ટી બસ માટે પણ ભિલોડા, રાણી કે જાલેટી તરફથી વિજયનગરમાં પ્રવેશ માટે વાયાં છતરિયા ત્રણ રસ્તાથી જ બસ સ્ટેશન પર જવાની સૂચના હોવા છતાં પણ એસ.ટી. બસના ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશોની અવગણના કરીને રાણી, કોડિયાવાડા, જાલેટી તરફથી વિજયનગરમાં પ્રવેશ માટે બી.એસ.એન.એલ.તરફથી બસ ઘુસાડવામાં આવતા વિજયનગર ગ્રામ પંચાયતથી કોર્ટ સુધીના સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થાય છે.
જ્યાં પોલીસ તંત્ર દ્વારા અગાઉ જૂની મામલતદાર અને હાલની કોર્ટ સામે હોમગાર્ડ પોઇન્ટ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ગત કેટલાક સમયથી આ પોઇન્ટ કોઈપણ કારણોસર ઉઠાવી લેવામાં આવતા ટ્રાફિક નિયમોનું પાલન થતું નથી. ત્યારે વિજયનગરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સહિયારા પ્રયાસ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકોએ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.