સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં બટાકા પાકનું મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. ખેડૂતોએ ચીલાચાલુ ખેતી પાકને છોડી ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક આપતાં બટાકાના પાક તરફ વળ્યા છે. હાલ હિંમતનગરના બટાકા પાકનો ગઢ ગણાતા ગાંભોઈ- રૂપાલ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો બટાકાની વાવણી કામમાં જોડાયા છે અને તાલુકામાં અત્યારસુધીમાં 5 હજાર હેકટરથી વધુ વાવેતર થઈ ચૂક્યું છે.
ગાંભોઈ સહિત રાયગઢ, નિકોડા, મનોરપુર, રૂપાલ, ખેડ, બાવસર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વેફર માટે સ્પેશિયલ સુગર વગરના એલ.આર.બટાકાની જાત તેમજ શાક બજારના સફેદ બાદશાહ જાતના બટાકાનું વાવેતર કરી રહ્યા છે. કોરોના મહામારીના વર્ષ દરમિયાન બજાર ભાવ ગગડી જતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની જતા ભારે આર્થિક નુકસાન ભોગવ્યું હતું.
હાલ ખેડૂતો 50 કિલો કટ્ટાના 1700 થી 1800 રૂપિયા મુજબ બિયારણની ખરીદી ઉપરાંત ડી.એ.પી., પોટાશ અને સેન્દ્રીય ખાતર વગેરેની ખરીદી કરી બટાકા પાકના વાવેતરમાં આગોતરું ખર્ચ કરેલ છે. ત્રણ માસમાં ઉત્પાદન આપતાં આ બટાકા પાકની ખેતીમાં માલની ઊપજ અને ગુણવત્તા મુજબ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે મુજબ વેપારીઓ પાસે એડવાન્સ સોદા કરી ઉત્પાદિત માલના વેચાણની વ્યવસ્થા કરે છે. આ વર્ષે સારા વરસાદને કારણે બટાકાપાકના વાવેતરના પ્રમાણમાં વધારો થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.