સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી 90 દિવસ થવાની છે જેની શરૂઆત થયાને એક મહિનાથી વધુનો સમય થયો છે. પરંતુ ખુલ્લા બજારમાં વધુ ભાવ હોવાથી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂત પણ મગફળી વેચવા આવતા નથી. જેને લઈને ખેડૂતોની નિરસતા જોવા મળી છે.
1308 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
ટેકાના ભાવે મગફળી ખરીદી ગુજકોમાસોલ દ્વારા 25 સપ્ટેમ્બર રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું હતું. રૂ 1170 ના ટેકાના ભાવે 1308 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તો હિંમતનગરમાં સૌથી ઓછા 35 અને સૌથી વધુ ખેડબ્રહ્મામાં 480 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. 10 સપ્ટેમ્બરથી ખરીદી શરુ કરવામાં આવી હતી. ઇડર અને ખેડબ્રહ્મા સેન્ટર પર ખરીદી શરુ કરાઈ હતી. પ્રતિ દિવસ 50 થી 70 ખેડૂતને મેસેજ કરવામાં આવ્યા હતા. તો એકપણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા ન હતા. 30 જાન્યુઆરી 2023 સુધી ચાલશે તેવું સાબરકાંઠાના ગુજકોમાસોલના લાયઝન ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ફોન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ મગફળી પાકનો સારો ભાવ મળતા ખુલ્લા બજારમાં વેચાણ કર્યું છે.
હિંમતનગર માર્કેટયાર્ડમાં અઢી મહિનામાં 11 લાખ 31 હજાર બોરીની આવક
આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના સેક્રેટરી મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર માર્કેટયાર્ડમાં અઢી મહિનામાં 11 લાખ 31 હજાર બોરીની આવક થઇ છે. સૌથી વધુ ભાવ રૂ 1751 સુધી ખેડૂતોને મગફળીનો મળ્યો છે. તો સૌથી ઓછો પણ રૂ 1200 મળ્યો છે, જેને લઈને બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ મગફળી વેચવા અહીં આવે છે. તો અહિયાં મિલો સારી છે જેને લઈને ખરીદી સારા ભાવે થાય છે.
ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા ટેકાના ભાવે મગફળીનું વેચાણ ઓછુ
ખેડૂતને ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા ટેકાના ભાવે મગફળીનું વેચાણ ઓછુ કરે છે. આ અંગે કાંકરોલના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલા ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ કરતો હતો અને નાણા તાત્કાલિક મળતા ન હતા અને જો કોઈ કાગળમાં ભૂલ નીકળે તો નાણા પણ જલ્દી ન મળતા. ત્યારે હાલમાં તો ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ અને નાણા પણ ચાર દિવસમાં મળી જાય છે. ખેડૂત પોતાની મગફળીના દાણા માંથી તેલ કઢાવે છે અને તેનો ઉપયોગ પોતે કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.