પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે આવેલ પ્રાચીન અને સુપ્રસિધ્ધ શ્રી મહાકાલી માતાના મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આગામી 14મી જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ધ્વજારોહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઇ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજના સાંપડ ખાતે પોષી પુનમને લઇને મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવોર પુનમના દિવસે વહેલી સવારથી ભકતોની ભારે ભીડ દર્શન માટે ઉમટી હતી અને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંપડ મહાકાલી મંદિર ખાતે આગામી 14મી જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ તથા ભૂમિપૂજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુમાં આચાર્ય પ્રેમનારાયણ કાન્તીલાલ શુકલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના કલ્યાણ તેમજ કોરોના મહામારી નાબુદી માટે સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞ યોજાશે. જેમાં દેશ-વિદેશના ધર્મપ્રિય લોકો ભાગ લેશે. આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા તેમજ ચંડીપાઠનુ વિધી પૂર્વક પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે દેવતાઓના સ્થાપન, અગ્નિ સ્થાપન, સપ્તસતિ પાઠ, પઠણ, હોમ, નવકન્યા પૂજન, મહાપૂજા તથા બ્રાહ્મણોની વસંત પૂજા કરવામાં આવશે. પરિસરમાં પદ્મકુંડ નિર્માણ કાન્તીભાઇ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા ગુજરાત સહિત જિલ્લા અને પ્રાંતિજ તથા તાલુકાના ધર્મપ્રેમી લોકોને દર્શનનો લાભ લેવા ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.