મહિસાગર જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદની સારી શરૂઆત થયા બાદ મેઘરાજા જાણે વરસવાનું ભૂલી જ ગયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ થયો નથી. જેને લઈને વરસાદની રાહે બેઠેલા ખેડુતો ચિંતામાં મુકાયા છે. તેમાં પણ વિરપુર તાલુકામાં સૌથી ઓછો સિઝનનો માત્ર સાત ઇંચ જ વરસાદ થતાં જગતનાં તાતને રોવાનો વારો આવ્યો છે. વિરપુર તાલુકામાં વરસાદ ખેંચાતા તળાવોના તળીયા દેખાવા લાગ્યા છે. તાલુકાની 32 ગ્રામ પંચાયત પૈકી 24 તળાવો આવેલા છે જે પૈકી તાલુકાના ત્રણ જેટલા તળાવોમાં સમ ખાવા જ પુરતું પાણી છે બાકીના મોટા ભાગના તળાવો ખાલીખમ હાલતમાં છે.
હાલમાં ધાસચારા 3985 હેક્ટર તથા મકાઈ 2524 હેકટર જમીનમાં વાવણી થતા કુલ 8409 હેકટર વાવેતરને ખતરો ઉભો થયો છે. ત્યારે જો હજુ પણ તાલુકામાં વરસાદ ખેંચાય તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. વિરપુર પંથકમાં પણ ઓછો વરસાદ પડયો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી સપ્તાહમાં સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની શકયતા છે કુવા કે બોરમાં પણ પાણી ચડયા ન હોય સુકાઈ રહેલા પાકને કેવી રીતે પાણી આપવુ તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
જળસંચય અંતર્ગત તળાવોને ખર્ચા કરીને સરકાર દ્વારા ઉંડા કરવામાં આવ્યા હતા. પરંતુ તે તળાવો મોટાભાગના ખાલી જોવા મળે છે. કડાણા ડેમ આધારીત યોજના બનાવીને તળાવો ભરવા માટે કોઈ નક્કર કામગીરી ખેડૂતોના હિતમાં થતી જોવા મળતી નથી. રાજ્ય સરકાર અને જળ સંપત્તિ વિભાગ યોગ્ય કામગીરી કરે તેવી ખેડૂતોની વર્ષોની માંગ ઠેરની ઠેર છે.
વરધરાનું તળાવ જ સિંચાઇથી ભરાય છે
તાલુકામાં મોટાભાગના સિંચાઈથી તળાવો ભરવા માટે કોઈ સુવિધા નથી આદમકાળથી તાલુકાનુ એકજ તળાવ વરધરા ગ્રામ પંચાયતનુ છે જે સિંચાઇથી ભરવામાં આવે છે બાકીના તળાવ ભગવાન ભરોસે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.