રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ હથિયારબંધી જાહેરનામા ભંગના કેસમાં પકડાયેલો આરોપી અસલમ ફકીર પાસે રહેલી બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું. પોકેટકોપની મદદથી યુનિવર્સિટી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 35 હજારની કિંમતનું બાઇક કબ્જે કર્યું હતું. આરોપી અગાઉ બે વખત પોલીસ ચોપડે ચૂક્યાનું પણ જાણવા મળ્યું છે.
ચોરીના ગુનામાં ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, ચોરીના ગુનામાં ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી વનરાજ ઉર્ફે પોઠિયો લાલજી સોલંકી હરિપર ગામના પાટીયા પાસે છે. આથી પોલીસ ત્યાં પહોંચતા વનરાજ હરિપર ગામના પાટી પાસે અવાવરૂ જગ્યાએથી મળી આવતા તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 500 રૂપિયાનો મોબાઈલ કબ્જે કર્યો હતો. વનરાજ અગાઉ દારૂ સહિતના 6 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી
શનિવારે સવારે પોલીસ કમિશનર કચેરીએ એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને યુવાનની પૂછપરછ કરતા તે મૂળ જામનગરનો અને હાલ રાજકોટના ધરમનગર ક્વાર્ટરમાં રહીને રિક્ષા ચલાવતો રવિ નેવલદાસ પ્રિતમાણી હોવાનું જણાવ્યું હતું. આપઘાતની કોશિશ કરવા અંગેની પૂછપરછમાં તેને છ મહિના પહેલા એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે સાથે રિક્ષા ચલાવતા અને મવડી ચોકડી પાસે વિનાયકનગરમાં રહેતા શનિ ટાંક નામના શખ્સ પાસેથી રૂ.20 હજાર વ્યાજે લીધા હતા તેવું જણાવ્યું હતું.
રવિ રોજ વ્યાજના 500 રૂપિયા ચૂકવતો
રવિ રોજના વ્યાજના પાંચસો રૂપિયા ચૂકવતો હતો. આમ તેને રૂ.80 હજાર જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં શનિ ટાંક પોતાને હજુ તારે પૈસા ચૂકવવાના છે તેમ કહી રોજના પાંચસો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. આમ રોજ શનિ ટાંક પોતાની પાસેથી વધુ પૈસા પડાવવા પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતો હતો. એ ડિવિઝન પોલીસે વ્યાજખોર શનિ ટાંક સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
હનીટ્રેપના આરોપીના જામીન નામંજૂર
હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા વિજયનગરમાં રહેતા રાહુલ ઉર્ફે રામપ્રસાદ મહેશ નિમાવતે જામીન પર છૂટવા કરેલી અરજીને ગઈકાલે સેશન્સ જજ જે.ડી.સુથારે નામંજૂર કરી હતી. ગત ઓક્ટોબર મહિનામાં જેતપુરના ભીખાલાલ વિઠ્ઠલભાઇ ગજેરાને યુવતી સાથે મોજમજા કરવાના બહાને ટોળકીએ આજી ડેમ ચોકડીએ બોલાવ્યા હતા. બાદમાં ટોળકીના બે શખ્સે પોલીસ તરીકેની ઓળખ આપી અટકાવી તું અમારી બેનને ક્યા લઇ જાય છે તેમ કહી બળજબરીથી રોકડ, ઘરેણાં પડાવી લીધા હતા.
વકીલની દલિલને માન્ય રાખી કોર્ટે જામીન ન આપ્યા
બનાવ બાદ આરોપીઓને ઝડપી લઇ જેલહવાલે કર્યા હતા. જેલહવાલે રહેલા આરોપી રાહુલ ઉર્ફે રામપ્રસાદે જામીન અરજી કરતા સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ વિરોધ કરી આરોપી સામે અગાઉ ચાર આ પ્રકારના ગુના નોંધાયા છે. ત્યારે તેને જામીન મુક્ત કરવો જોઇએ નહિ. જે રજૂઆતને ધ્યાને લઇ અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.