રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે 18 મેના વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્મ થયો છે.
માતા અને બચ્ચા બંને તંદુરસ્ત
હાલ માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ઝૂમાં અગાઉ સફેદ વાઘમાં થયેલી બ્રીડીંગની વિગત
1. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.06/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ થયો.
2. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.15/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્મ થયો.
3. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-2, માદા-2)નો જન્મ થયો.
4. તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/05/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્મ થયો.
રાજકોટ ઝૂ દ્વારા અન્ય ઝૂને આપેલ સફેદ વાઘની વિગત
ઝૂનું નામ | વર્ષ | સફેદ વાઘની સંખ્યા |
કાંકરીયા ઝૂ, અમદાવાદ | 2017-18 | સફેદ વાઘ માદા-1 |
છતબીર ઝૂ, પંજાબ | 2019-20 | સફેદ વાઘ માદા-1 |
રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના | 2020-21 | સફેદ વાઘ માદા-1 |
ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર | 2020-21 | સફેદ વાઘ નર-1, માદા-1 |
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત | 2021-22 | સફેદ વાઘ નર-1, માદા-1 |
રાજકોટ ઝૂમાં હાલ સફેદ વાઘની સંખ્યા 6 થઈ
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહ્યું છે. હાલ ઝૂ ખાતે 2 સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 6 થઇ ગઈ છે. જેમાં પુખ્ત નર 1, પુખ્ત માદા 3 અને 2 બચ્ચાનો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં જુદી જુદી 59 પ્રજાતિઓનાં 490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.