પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે અંતર્ગત હીરાસર એરપોર્ટ ખાતે આજરોજ ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટીંગની કામગીરી અન્વયે ર-નવેનું અને લેન્ડિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.અગાઉ ત્રણ વખત ટ્રાયલ લેન્ડિંગ માટે જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્રણેય વખત મુદત પડી હતી. આમ ત્રીજી મુદતમાં મુહૂર્ત નીકળ્યું છે.
માર્ચના અંત સુધીમાં એરપોર્ટની તમામ કામગીરી પૂર્ણ
આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે, આજે પ્રથમ વખત ફ્લાઇટનું ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ મારફતે ટેસ્ટિંગ ની કામગીરી ચાલી રહી છે. રન-વેના નીચે 1 કિ.મી.ની ટનલ પણ તૈયાર છે. કંટ્રોલ નેવિગેશન સિસ્ટમ પણ ત્યાર થઈ ચૂકી છે. બોઈંગ 737 લેન્ડ કરી શકે તે માટે નો રન વે બનાવવામાં આવ્યો છે. 7 વિંડ મીલ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ચના અંત સુધીમાં એરપોર્ટની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. એપ્રિલમાં DGCA દ્વારા કલિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યાર બાદ કોઈ પણ સમયે લોકાર્પણ કરી શકાશે.
કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ
હિરાસર એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં લેન્ડિંગને ધ્યાને રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરીને પૂર્ણ કરવામાં આવશે.
કેટ લાઈટ યોગ્ય છે કે નહીં
હિરાસર એરપોર્ટમાં હાલ રન વેનું કામ પૂર્ણ થયું છે અને નવું ટર્મિનલ ન બને ત્યાં સુધી ટેમ્પરરી ટર્મિનલ વાપરવામાં આવશે તે પણ કામ અંતિમ તબક્કામાં છે. આ કારણે એપ્રિલ સુધીમાં જ એરપોર્ટ ચાલુ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે ટ્રાયલ લેન્ડિંગ મહત્ત્વનો તબક્કો છે. હાલ રન વે પર જે કેટ લાઈટ નખાઈ છે તે યોગ્ય રીતે કામ કરે છે.
બોક્સ કલ્વર્ટ કેવું કાર્યક્ષમ છે
આ વિસ્તારમાં હજુ પણ ઘણી પવનચક્કીઓ અને હાઈ વોલ્ટેજ લાઈન નડતરરૂપ છે કે નહિ તે ચકાસાશે. લેન્ડિંગ કરાવ્યા બાદ રન વે પરથી ફ્લાઈટ ટેકઓફ કરાવીને રન વેના છેડે નદી ઉપર બનાવેલું બોક્સ કલ્વર્ટ કેવું કાર્યક્ષમ છે તે સહિતની બાબતોની ચકાસણી કરાતા બે દિવસ સુધી એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓ કરશે.
પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું
રાજકોટના હીરાસર ખાતે 2500 એકર જગ્યામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. જેમાં રન-વેનું કામ પૂર્ણ થઇ ગયું છે. અને ગત સપ્તાહ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન હીરાસર એરપોર્ટનો આખરી રિપોર્ટ લઇને દિલ્હી ખાતે દોડી ગયા હતા અને એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્વની ચર્ચા કરી તમામ કામો પૂરા થઇ ગયાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
કામચલાઉ ટર્મીનલ એટીસી ટાવર તૈયાર
પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા હીરાસર એરપોર્ટની કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ એરપોર્ટમાં કામચલાઉ ટર્મીનલ એટીસી ટાવર સહિતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.