રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો થઇ રહ્યાં છે. ત્યારે આજે વધુ એક ત્રિપલ અકસ્માત બનતા રસ્તો રક્તરંજીત બન્યો હતો. ગોંડલના જામવાળી ગામ પાસે ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પહેલા પ્લેઝર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બાદમાં ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે પ્લેઝરચાલક મહિલા શિક્ષક અને તેના પુત્રને ગંભીર હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇનોવા કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી
બિલીયાળા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં આગ લાગવાથી ત્રણ મહિલા ભડથું થઈ ગયાની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જામવાળી પાસે પૂરપાટ ઝડપે દોડી આવતી ઈનોવા કાર GJ-03-LM-3177ના ચાલકે હોન્ડા GJ-3-HQ-9056 અને પ્લેઝર GJ-03-DC-3455ને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં જામવાડી જીઆઇડીસીમાં આવેલી અક્ષર ઓઇલ મિલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના ભીખાભાઈ ઉદાભાઈ ડામોર (ઉં.વ. 30) અને ગોંડલ બસ સ્ટેન્ડ પાસે હીરાના કારખાનામાં કામ કરતા સંજય મનસુખભાઈ મકવાણા (ઉં.વ.23, રહે. મોવિયા)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
શિક્ષિકા અને તેનો પુત્ર ગંભીર
આ અકસ્માતમાં ચરખડી ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન રાજેશભાઈ સોરઠીયા (ઉં.વ. 40) અને તેનો પુત્ર આરવ (ઉં.વ. 8)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર ભીખાભાઈ બે દિકરા અને એક દીકરીના પિતા હતા. જ્યારે સંજયભાઈ અપરિણીત હોય હીરાના કારખાનામાં કામ કરવાની સાથે ખેતી કામ કરતા હતા. તેમજ બે ભાઈઓના પરિવારમાં મોટા હતા. જ્યારે જયશ્રીબેન ચરખડી ગામે પ્રાયમરી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી
ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસ દોડી આવી હતી. તેમજ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી મૃતક બંને વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે શિક્ષિકા અને તેના પુત્રની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે અકસ્માત થયો તે ત્રણેય વાહનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
ઇનોવા કાર ચાલક કાર મૂકીને ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી
જેતપુર તરફથી રાજકોટ તરફ જતી ઇનોવા કાર જામવાડી ચોકડી પાસે પહોંચી હતી. ત્યારે રોડ ક્રોસ કરી રહેલા શિક્ષિકાને ઠોકરે ચડાવ્યા હતા. આથી કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કૂદી ગોંડલ સાઈડથી જેતપુર તરફ આવી રહેલા બાઈક સવારને ઠોકરે ચડાવતા બાઈકમાં સવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ઇનોવા કારચાલક કાર મૂકી નાસી ગયો હતો.
(હિમાંશુ પુરોહિત-દેવાંગ ભોજાણી,ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.