શહેરને ધમરોળતા તસ્કરોએ શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટને નિશાન બનાવી ફ્લેટમાં ઘૂસી રોકડ અને સોનાના ઘરેણાં સહિત કુલ રૂ.1.62 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, પોલીસે તપાસ કરતાં બે શકમંદો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને બંને રિક્ષામાં નાસી ગયા હોય પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
આલાબાઇના ભઠ્ઠા સામે જાગનાથમાં આવેલા અષ્ટલક્ષ્મી એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા સુરેનભાઇ ગોરધનદાસ અમલાણી (ઉ.વ.64)એ ચોરીની ઘટના અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત એપાર્ટમેન્ટમાં તેમનો ફ્લેટ આવેલો છે, તેમની પુત્રી અમદાવાદ રહેતી હોય દસેક મહિનાથી સુરેનભાઇ અને તેમના પત્ની અમદાવાદ પુત્રી સાથે રહે છે અને ક્યારેક ક્યારેક બે-ત્રણ દિવસ માટે રાજકોટ આવે છે,
ગત તા.23 ડિસેમ્બરે આવ્યા હતા અને તા.26ના પરત અમદાવાદ જતા રહ્યા હતા, તા.5ને ગુરૂવારે બપોરે એપાર્ટમેન્ટના ચોકીદાર બહાદુરે ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ફ્લેટનો દરવાજો થોડો ખુલ્લો છે અને લોક તૂટેલું છે, બહાદુરે ફ્લેટમાં જઇ તપાસ કરતા અંદર તમામ સામગ્રી વેરવિખેર જોવા મળતાં ચોરી થયાની શંકાએ સુરેનભાઇ અને તેમના પત્ની સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા.
સુરેનભાઇએ તપાસ કરતાં ફ્લેટમાં ઘૂસી તસ્કરો કબાટમાંથી રોકડા રૂ.1.62 લાખ ઉઠાવી ગયા હતા, તેમજ અમલાણી પરિવારના સોનાના કેટલાક દાગીના કબાટમાં તથા કેટલાક દાગીના બેંકના લોકરમાં હોવાથી તસ્કરો કેટલા દાગીના ઉઠાવી ગયા તે બેંકમાં તપાસ કર્યા બાદ સ્પષ્ટ થશે, સોનાના દાગીનાની ચોરી થઇ હશે તો ચોરીનો આંક વધવાની પણ સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.