રાજકોટ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નં. 93 ખાનગી ફાઉન્ડેશનને દત્તક આપ્યા બાદ સરકારી સ્કૂલની હાલત બદતર બની ગઈ હોવાની આચાર્યએ સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. સ્કૂલના આચાર્ય વનિતાબેન રાઠોડે રજૂઆતમાં જણાવ્યું છે કે, શાળામાં ધો. 1થી 8માં 890 બાળકો અભ્યાસ કરે છે. વિકસીત શાળાને દત્તક લઈ હાઈટેક બનાવવાના નામે લાખોની તોડફોડ કરી છે. પ્રજ્ઞા ક્લાસરૂમમાં પ્રજ્ઞા રેન્ક, લેડર, બાળકોની પ્રોફાઈલ દૂર કરી, પ્રોજેક્ટર અને હોમ થિયેટરના સ્પીકર્સને નુકસાન પહોંચેલ છે. અક્ષયપાત્ર, રામહાટ જેવી વ્યવસ્થાને વેર વિખેર કરી નાખી છે. છતમાં વોટરપ્રૂવ હોવા છતાં અગાસીમાં ખોદકામ કરતાં પાણી પડતા કોમ્પ્યુટર લેબમાં રહેલા 27 કોમ્પ્યુટરને શોર્ટ સર્કિટને લીધે નુકસાન પહોંચ્યું છે. જેને લીધે બાળકોનું કમ્પ્યુટર શિક્ષણ બંધ છે.
બે ફ્રીજ પણ તોડી નાખવામાં આવ્યા
સ્કૂલના ત્રણ RO પ્લાન્ટ અને બે ઠંડા પાણીના ફ્રીજ તોડી નખાયા છે. ક્લાસરૂમમાં ચારને બદલે બે પંખા નખાયા છે. 80માંથી 10 પંખા ગાયબ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. ઘડિયાળ 15માંથી 2 જ છે. શિક્ષકોનું ફેફ્સ રીડિંગ કાઢી નાખ્યું છે. જેને લીધે આચાર્ય સહિતના શિક્ષકો ઓનલાઈન હાજરી પૂરી શકતા નથી. સૌથી ગંભીર બાબતે છે કે સેનિટેશનની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે વિદ્યાર્થીઓને આચાર્યોને વોશરૂમ જવા માટેની કોઈ જ વ્યવસ્થા હાલ સ્કૂલમાં નથી. આ ઉપરાંત પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. રૂપિયા એક લાખની સાયન્સ લેબ પણ વેર વિખેર કરી નાખતા વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પ્રેકટિકલ જ્ઞાન હાલ બંધ છે.
શાળામાં રૂપિયા 68 લાખ જેટલું દાન આવ્યું
આચાર્યનું કહેવું છે કે, અત્યારસુધીમાં શાળામાં રૂપિયા 68 લાખ જેટલું દાન આવ્યું છે. કાઈ પણ વિકાસ કામો થયા હતા તે તમામ ખાનગી શર્વ ફાઉન્ડેશન દ્વારા વેર-વિખેર કરી સ્કૂલને દત્તક લઈ ડેવલોપમેન્ટ કરવાના નામે સ્કૂલમાં લાખોનું નુકસાન પહોંચાડ્યું છે. જેની ભરપાઇ પણ ખાનગી ફાઉન્ડેશન દ્વારા કરવી જોઈએ. કારણ કે, આ બધુ જ નુકસાન સરકારી માલ-મિલકતનું છે. આ સાથે જ રજૂઆતમાં એ પણ આક્ષેપ થયો છે કે, ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા મહિલા આચાર્યને સ્પર્શ કરી સાથે કચ્છ બદલી કરાવી દઈશું તેવી ધમકી પણ આપી છે.
ડેવલોપમેન્ટના બદલે ઘણું નુકસાન થયું
વિનોબા ભાવે સરકારી શાળા વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, મારો પુત્ર વિરાગ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે જે સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે. શાળાનું સંચાલન પહેલા ખૂબ સારી રીતે થતું હતું. પરંતુ ખાનગી ફાઉન્ડેશનને શાળા દત્તક આપ્યા બાદ ડેવલોપમેન્ટના બદલે ઘણું નુકસાન થયું છે. જેથી સ્કૂલ કમિટીના સભ્ય તરીકે આ કરાર રદ થાય તેવી માગ છે. જો બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ વાલીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં આવશે.
ખાનગી ફાઉન્ડેશન સાથેનો કરાર રદ કરવામાં આવે
રાજકોટ પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનઅધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, શાળા નંબર 93 શર્વ ફાઉન્ડેશન દ્વારા દતક લેવામાં આવી હતી. જોકે તેમાં આચાર્ય અને વાલીઓની એવી માંગ છે કે, આ કરાર રદ કરવામાં આવે. જેથી આજે તપાસ બાદ કરાર રદ કરવા શિક્ષણ સમિતિને ભલામણ કરીશ. જોકે આચાર્યની જે પ્રકારે ફરિયાદ છે તે મુજબનું બહુ વધુ નુકસાન થયું નથી. જિલ્લા શિક્ષણાધિકારી અને મ્યુ.કમિશનર અને પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને રિપોર્ટ સોંપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.