કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી તેવું ખુદ વડાપ્રધાન કહે છે ત્યારે રાજકોટ શહેરમાં તો લોકો પરનો ખતરો હાલ તુરંત ટળી ગયાનું લાગે છે. ગત વર્ષના એપ્રિલ અને ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં સંકટ અને રાહત જેટલું અંતર લોકોને યાદ આવ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા 104 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આજે પણ 'શૂન્ય' કેસ જ નોંધાયા છે. જયારે એક્ટિવ કેસની સંખ્યા પણ શૂન્ય છે.
સૌથી ખતરનાક બીજી લહેર લોકોએ ભોગવી હતી
એપ્રિલ 2021માં કોરોનાની સૌથી ખતરનાક બીજી લહેર લોકોએ ભોગવી હતી. સૌથી મોટી સંખ્યામાં મૃત્યુ આ મહિનામાં થયા હતા. સરકારી ઓડિટ સાથેના આંકડા પણ બિહામણા હતા. તો આ મહિનાના કેસે વિક્રમ તોડયો હતો. તે સમયે સરકારી કે ખાનગી કોઇ હોસ્પિટલમાં જગ્યા ન હતી. આ સંકટ પાર કરતા લોકોને રીતસર કાળની ક્રુરતાના અનુભવ થયા હતા.
લક્ષણો અને તબિયતની તપાસ કરાઈ
રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ માત્ર એક દર્દી હતો. જોકે હવે તે દર્દી પણ ડિસ્ચાર્જ થતા હાલની સ્થિતિએ એકપણ કોરોના દર્દી નથી. સામાન્ય રીતે કોરોનાના દર્દીને એક સપ્તાહમાં ડિસ્ચાર્જ જાહેર કરી દેવાય છે તેથી આ દર્દીને પણ સપ્તાહ થયું ત્યારે તેના લક્ષણો અને તબિયતની તપાસ કરાઈ હતી પણ તેનામાં લક્ષણો રહેતા ડિસ્ચાર્જ જાહેર કરાયા ન હતા આખરે 10મા દિવસે તમામ લક્ષણોમાંથી મુક્ત થતા ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.