રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા અને અફવાઓથી પ્રેરાયને લોકો વેક્સિનેશનથી દૂર રહેતા હોવાનો ખુદ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સ્વીકાર કર્યો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને રાજકોટ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનેશન અંગે કહ્યું હતું કે-લોકોમાં વેક્સિન અંગેની અંધશ્રદ્ધા અને ડર હોવાના કારણે વેક્સિનેશન ઓછું થયું છે. હાલ અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિન મુકાવતા નથી. આ તકે તેમણે લોકો વધુને વધુ વેક્સિનેશનનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
અફવાઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહો અને વેક્સિન મુકાવો
વધુમાં કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલથી 18 થી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સિન આપવાની કામગીરી ગ્રામ્ય કક્ષાએ શરૂ કરવામાં આવી છે. વેક્સિનેશન ને લઈ અત્યાર સુધી લોકોમાં ડર હોવાના કારણે વેક્સિનેશન ઓછું થયું હતું. તો સાથે જ વેક્સિનેશન મામલે લોકોમાં અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. જે પણ લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હોય તેઓએ આરોગ્યની દ્રષ્ટિએ અંધશ્રદ્ધા ન ફેલાવવી જોઇએ. આજે રાજકોટ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે વેક્સિનેશન એક જ માત્ર ઉપાય છે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વેક્સિન લેવામાં આવી છે. માટે સૌ ને અપીલ છે કે તમે વેક્સિન અંગેની ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહો અને વેક્સિન મુકાવો
વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા આવે તે જરૂરી છે
ઉલ્લેખનીય છે કે શુક્રવારથી રાજકોટ જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને પણ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુરુવાર સુધી રાજકોટ જિલ્લામાં માત્ર 18 ટકા વ્યક્તિઓ ને વેક્સિન આપવામાં આવી હોવાનું ખુદ જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે ખુલવા પામ્યું હતું. વેક્સિનને લઈને લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી હોય ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી હોય તે બાબત કબૂલી હતી ખુદ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું હતું કે લોકોની અંદર અંધશ્રદ્ધા દૂર કરવાનું કાર્ય આરોગ્ય વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન કરી રહ્યું છે. લોકોમાં વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા આવે તે જરૂરી છે.
રાજકોટને ગ્રીનસીટી બનાવવા વૃક્ષારોપણ જરૂરી
આ ઉપરાંત તાઉ-તેની તારાજી અંગે પણ કેબીનેટ મંત્રીએ જણાવ્યું હતું કે,લાખોની સંખ્યામાં વાવાઝોડામાં વૃક્ષોને નુકસાન થયું છે પણ સરકાર તેનું પુનઃ સ્થાપન કરશે.ખાસ તો રાજકોટને ગ્રીનસીટી બનાવવા વૃક્ષારોપણ જરૂરી છે. રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મનપા કમિશનર, ડે. કમિશનર, મેયર, ડે. મેયર, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગાર્ડન સમિતિના ચેરમેન અનિતા ગોસ્વામી હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન પર રાજકોટ ગ્રીન સિટી બને તે માટે અનેક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.