શહેરમાં ત્રણ વર્ષ પૂર્વેના હત્યા કેસના આરોપી રિઝવાન ઉર્ફે બોડિયો ઇસ્માઇલ દલને હાઇકોર્ટમાંથી મળેલા શરતી જામીનને સુપ્રીમ કોર્ટે રદ કરવા હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, શહેરના ધર્મેન્દ્ર રોડ પર તા.12-1-2018ની રાત્રીના સમયે રિયાઝ ઇસ્માઇલ દલ, શાહરુખ ઉર્ફે રાજા જુણેજા, રિઝવાન દલ, ઇસ્માઇલ દલ સહિતના શખ્સોએ અગાઉ કૌટુંબિક ભાઇની થયેલી હત્યાનો ખાર રાખી મોહસીન હનિફભાઇ જુણેજા નામના યુવાનની હત્યા કરી હતી. જે બનાવની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
દરમિયાન જેલહવાલે રહેલા આરોપી રિઝવાન ઉર્ફે બોડિયાને હાઇકોર્ટે રૂ.10 હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. નારાજ ફરિયાદપક્ષે એડવોકેટ ભગીરથસિંહ ડોડિયા, ધ્રુવિશ મલકાણ મારફતે સુપ્રીમ કોર્ટમાં આરોપીના જામીન રદ કરવા સ્પે.પિટિશન કરી હતી. પિટિશન દરમિયાન આરોપી સામે અનેક ગુના નોંધાયેલા છે.
થોડા સમય પહેલા ગુજસીટોકના ગુનામાં પણ સંડોવણી ખૂલી છે. જ્યારે આ હત્યા કેસમાં પણ આરોપી રિઝવાનની મુખ્ય ભૂમિકા હોવાથી તેના જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. સુપ્રીમે કેસના દસ્તાવેજી પુરાવાઓ અને રજૂઆતને ધ્યાને લઇ હાઇકોર્ટે આપેલા જામીનને રદ કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સ્પે.પીપી તરીકે અનિલ દેસાઇ પણ રોકાયેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.