પોરબંદરના રાણાવાવમાં રહેતા તલાટી મંત્રીની પત્નીએ પાંચ દિવસ પૂર્વે એસિડ પી લીધું હતું જેનું સોમવારે રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સાસુ સાથે ચડભડ થતાં નવોઢાએ અંતિમ પગલું ભરી લીધું હતું. રાણાવાવમાં રહેતા ખુશ્બુબેન મુકેશભાઇ ચૌહાણે (ઉ.વ.23) ગત તા.28ના સવારે છએક વાગ્યે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને પોરબંદર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.
બનાવ અંગે જાણ કરાતા રાણાવાવ પોલીસ રાજકોટ દોડી આવી હતી. ખુશ્બુબેનના માતા શારદાબેને કહ્યું હતું કે, ખુશ્બુબેનના લગ્ન સાત મહિના પૂર્વે જ તલાટી મંત્રી મુકેશ ચૌહાણ સાથે થયા હતા, ખુશ્બુબેને ગત તા.28ના સવારે તેમની માતા શારદાબેનને ફોન કર્યો હતો અને ફોન ચાલુ હતો.
ત્યારે જ ખુશ્બુબેને એસિડ પી લીધું હતું, કેટલાક સમયથી સાસુ સાથે ચડભડ થતી હતી તે કારણે નવોઢાએ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. સાત મહિના પૂર્વે જે પુત્રીને વાજતે ગાજતે સાસરે વિદાય આપી હતી તે પુત્રીના આપઘાતથી ગોહેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.