રાજકોટ શહેર NSUI દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. આગામી ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓના હિત માટે શહેર NSUI દ્વારા અલગ અલગ 3 માંગણી રજૂ કરવામાં આવી હતી. જેમાં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરવી અને પરીક્ષામાં ઓનલાઇન-ઓફલાઇન ઓપ્શન આપવું.
ફ્રી વેક્સિનેશન કેમ્પની પણ માંગ
રાજકોટ શહેર NSUI પ્રમુખ નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓને ફ્રી વેક્સિનેશન કેમ્પ ખૂબ જ ઝડપથી યોજવામાં આવે તેમજ કોરોનાકાળમાં જે વિદ્યાર્થીઓના પોતાના મા-બાપ અથવા તો ઘરમાં કમાનાર વ્યકિતનું અવસાન થાય તો અથવા થયેલ હોય તો આવા વિદ્યાર્થીઓને તમામ કોલેજો અને યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ફી માફ કરવામાં આવે.
પરીક્ષામાં ઓનલાઇન-ઓફલાઇન ઓપ્શન આપવા માંગ
વધુમાં તેમણે માંગ કરી હતી કે, આ કોવિડની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી યુજીના છેલ્લા વર્ષ, પીજીના પહેલા વર્ષની પરીક્ષા હજુ સુધી લઈ શકી નથી. પણ આ પરીક્ષાઓમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને ઓપ્શન આપવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને ઓફલાઈન પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી શકે. જેથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય રહે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.