રાજકોટ શહેરના હજુ પણ ઘણા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ તો છે પણ યોગ્ય જાળવણીના અભાવે માળખું પડી ભાંગતા સુવિધા હોવા છતાં લોકો તેનાથી વંચિત થઈ પરેશાની ભોગવી રહ્યા છે જેમાં વોર્ડ નં.3ના જીહિત પાર્કનો પણ હવે સમાવેશ થયો છે.
વોર્ડ નં.3માં જામનગર રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા જીહિત પાર્કમાં છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ ઊભરાવાની સમસ્યા છે. રોડ ઉપર ગંદું પાણી વહેતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રહેવાસી મહેશ ગઢવી જણાવે છે કે, કોલ સેન્ટરમાં 40થી 50 ફોન કરવામાં આવ્યા છે, લેટર પેડ પર માંગ કરાઈ છે અમારા વોર્ડના ચારેય કોર્પોરેટર ટીકુભા (નરેન્દ્રસિંહ જાડેજા), અલ્પાબેન, કુસુમબેન અને બાબુભાઈને રજૂઆત કરી છે આમ છતાં કોઇ પણ કામ થતા નથી.
મનપાના અધિકારીઓ આવે છે અને લાઈન નખાશે તેવી વાતો કરે છે. અમારી માંગ છે કે, મનપાને જે પણ કરવું હોય તે કરે કારણ કે અહીં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે મલેરિયાના કેસ આવી રહ્યા છે અને કોર્પોરેશનની જ આરોગ્ય શાખાએ નોટિસ આપી છે કે, અમારી સોસાયટીમાં મચ્છરના પોરા થઈ રહ્યા છે!’ રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને મચ્છરજન્ય બિમારી થવાનો ભય વધી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.