સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે છેલ્લા ઘણા વર્ષોથી સતત નાપાસ થયા છે. એક, બે કે તેથી વધુ વિષયમાં ફેલ થયેલા વર્ષ 2016 પહેલાના રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું યુનિવર્સિટીએ હવે આર્થિક ભારણને કારણે બંધ કરી દીધું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અનેક વિદ્યાર્થીઓની મળેલી રજૂઆતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા આવા એક-બે કે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવા પરીક્ષા લેશે.
જેમાં જુદા જુદા કોર્સના 1થી 6 સેમેસ્ટરના આશરે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા અને વર્ષોવર્ષ સતત નાપાસ થતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું યુનિવર્સિટીને આર્થિક ભારણ રહેતું હોવાથી આવા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે નહીં લેવાનું નક્કી કરાયું હતું. મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેઓ છેલ્લા 10 વર્ષથી સતત નાપાસ થતા આવે છે. પરંતુ તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2016 પહેલાના વિદ્યાર્થીઓને છેલ્લી તક આપી છે.
આ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફી સાથે તારીખ 15થી 25 માર્ચ સુધી સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા કોર્સના કુલ 9862 વિદ્યાર્થી નોંધાયા છે જેની છેલ્લી વખત પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓની જુદા જુદા કોર્સની પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
ક્યા સેમેસ્ટરના કેટલા રિપીટર સેમેસ્ટર-1: 765 વિદ્યાર્થી સેમેસ્ટર-2: 517 વિદ્યાર્થી સેમેસ્ટર-3: 1329 વિદ્યાર્થી સેમેસ્ટર-4: 1510 વિદ્યાર્થી સેમેસ્ટર-5: 2594 વિદ્યાર્થી સેમેસ્ટર-6: 3147 વિદ્યાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.