રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ રહી છે, અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળા છ ટર્મ જેટલી ચૂંટણી લડ્યા અને વિજય રૂપાણી ચૂંટણી લડ્યા. અહીં ઉજળિયાત વર્ગ માટે ટિકિટ ફાળવવામાં આવે છે. પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે, તેને ટિકિટ આપી નરેન્દ્ર મોદીએ સંઘની પરંપરા જાળવી રાખી છે અને સંબંધો ભૂલ્યા નથી. હવે પપ્પા અને દાદાજીના સંસ્કાર તેમને વિધાનસભા સુધી લઈ જશે.
કોણ છે ભાજપના ઉમેદવાર ડો. દર્શિતા શાહ
નામઃ ડો.દર્શિતા પારસભાઈ શાહ
અભ્યાસ: MMBS (એમ.પી. શાહ મેડિકલ કોલેજ- જામનગર), MD (પેથોલોજી)
જન્મ તારીખ: 23/01/1969
વ્યવસાય: ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી, રાજકોટ (સિનિયર કન્સલટન્ટ પેથોલોજિસ્ટ)
કોણ છે ડો. દર્શિતા શાહના પિતા અને દાદા
ડો. દર્શિતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શિતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કોર્પોરેશનમાં ડે.મેયર તરીકે કાર્યરત
રાજકોટ પશ્ચિમ બેઠકના છેલ્લી 3 ચૂંટણીનાં પરિણામનાં લેખાંજોખાં
વજુભાઈ વાળા સતત છ ટર્મ આ વિધાનસભાની સીટ પરથી લડીને જીત્યા છે. વર્ષ 1985થી શરૂ કરીને 2012 સુધીની તમામ ચૂંટણીમાં વજુભાઈ વાળા આ સીટ પરથી લડીને જીત્યા છે. વચ્ચે એક વખત તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી આપી હતી. વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહેલા વજુભાઈ વાળાને 48,215 મત મળ્યા હતા. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભાં રહેલાં કાશ્મીરાબેન નથવાણીને 38,359 મત જ મળ્યા હતા.
2012 અને 2017માં કોણ જીત્યું
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વજુભાઈ વાળાને 90405 વોટ મળ્યા હતા. જ્યારે કે તેમની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીને 65427 મત મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીને 1,31,586 મત મળ્યા હતા. જ્યારે કે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને 77,831 મત જ મળ્યા હતા.
લોહાણા અને પાટીદાર સમાજનું પ્રભુત્વ
રાજકોટની પશ્ચિમ બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગઢ માનવામાં આવે છે. તેમજ લોહાણા, બ્રાહ્મણ, કડવા પાટીદાર, લેઉવા પાટીદાર, જૈન તેમજ લઘુમતી સમાજનું અહીંયાં પ્રભુત્વ જોવા મળે છે. કુલ મતદારો પૈકી બ્રાહ્મણ મતદારો અંદાજિત 20%, લોહાણા 20%, કડવા પાટીદાર 19%, લેઉવા પટેલ 15%, જૈન 12%, લઘુમતી 10% અને અન્ય 4% છે. અત્યાર સુધી કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોએ મોટાભાગે કારડિયા રાજપૂત, લોહાણા, બ્રાહ્મણ તેમજ જૈન વાણિયા જ્ઞાતિમાંથી આવતા ઉમેદવાર ઉપર જ પોતાનું મોટાભાગે કળશ ઢોળ્યો છે.
2017માં આનંદીબેન પટેલે રાજીનામું આપતાં રૂપાણી CM બન્યા
2017ની ચૂંટણી પૂર્વે આનંદીબેન પટેલે અચાનક રાજીનામું આપી દેતાં ગુજરાતની ગાદી વિજય રૂપાણીને સોંપવામાં આવી હતી. સાત ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ શપથ ગ્રહણ કર્યા હતા. પોતાના પાંચ વર્ષના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં એક ધારાસભ્ય તરીકે પણ પોતાના મતવિસ્તાર રાજકોટમાં એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે.
રૂપાણીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજકોટનો વિકાસ બેવડાયો
રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય કે પછી રાજકોટ શહેરમાં અંડરબ્રિજ, ઓવરબ્રિજ, સ્વિમિંગ પૂલ, એથ્લેટિક ગ્રાઉન્ડ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, નવી જીઆઇડીસી, રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવે, રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, આવાસ યોજના લાઇબ્રેરી સહિતનાં વિકાસ કાર્યો મુખ્યમંત્રી અને ધારાસભ્ય તરીકે વિજય રૂપાણીએ પોતાના મતવિસ્તારમાં કર્યાં છે. વર્ષ 2016થી ન માત્ર તેઓએ પોતાના જ મતવિસ્તાર પરંતુ 68, 70, 71 તેમજ જસદણ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા સહિતની જુદી જુદી વિધાનસભાઓ માટે પણ તેમણે કાર્ય કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.