રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વિરલ ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. પીઆઇ ગઢવી અને PSI જોગરાણા ટિમ દ્વારા ઉંઝાના વેપારીને ખોટી રીતે ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હોવાની ઘટનામાં આખરે વેપારીની ફરિયાદ પરથી પીઆઇ ગઢવી અને PSI જોગરાણા વિરુધ્ધ રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાંસદ અને ધારાસભ્યએ રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
રાજકોટના તત્કાલીન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ જોગરાણા દ્વારા ઊંઝાના વેપારીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. બાદમાં વેપારીની તબિયત લથડતા ખાનગી હોટલમાં લઇ જઇને ત્યાં વેપારી પાસે કોરા કાગળ તેમજ દસ્તાવેજ પર સહી કરાવીને પીઆઇ ગઢવી સહિતના સ્ટાફે ધાકધમકીઓ આપી હતી. જેની ફરિયાદ વેપારીએ ડીજીપીને કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. જો કે, એક વર્ષ પૂર્વે રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્યએ રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ઉઝાના વેપારીની લેખિત અરજી ગૃહવિભાગના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા. જેમાં વી.કે.ગઢવી સહિત તેમની ટીમ દોષિત હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
ફરીયાદીને બેફામ માર માર્યો
ઊંઝાના વેપારી મહેશભાઇ ગોવીંદભાઇ પટેલ (ઉ.વ.49) એ વર્ષ 2011 માં શ્રી ગાયત્રીનગર કો.હા.સોસાયટી લીમીટેડના રાજેન્દ્રભાઇ પ્રભુદાસ જસાણીની 30 એકર જમીનના ટુકડે ટુકડે પાંચ કરોડ ચુકવ્યા હતા અને તેના બદલામાં રાજેન્દ્રભાઇએ નોટરી રૂબરૂમાં અસલ બાનાખત કરી આપેલ હોય જે કિંમતી જમીનનુ અસલ બાનાખત ફરીયાદી પાસેથી પરત મેળવવી લેવાના સમાન ઇરાદાથી પી.એસ.આઇ. જોગરાણા તથા તેની સાથેના અન્ય માણસોએ ફરીયાદીને ઉંઝ. ખાતે આવેલ તેની ઓફિસે થી લઇ ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયેલ અને ત્યાથી કિયા સેલ્ટોસ ગાડીમાં બેસાડી રાજકોટ ખાતે અરજી તપાસના કામે પુછપરછ માટે લઇ આવી ફરીયાદીને કોઇપણ ગુન્હા વગર માનસીક ટોર્ચર કરી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી બીજા દિવસે રાઇટરે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પી.આઇ. ગઢવીની ઓફીસમાં લઇ જતા પી.આઇ. ગઢવીએ ફરીયાદીને ગાળો આપી જમીનનો અસલ બાનાખત કઢાવવા માટે પ્લાસ્ટીકના પાઇપથી બેફામ માર માર્યો હતો.
રાજકોટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ પછી તા.23.01.2022 ના રોજ પી.એસ.આઇ. જોગરાણાનાએ બીજી વખત ફરીયાદીને પી.આઇ. ગઢવીની ઓફિસમાં લઇ જતા પી.આઇ. ગઢવીએ ફરીયાદીને પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો હતો. ફરિયાદીએ ડીજીપી ઓફિસમાં કરેલ અરજી બાદ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ફરિયાદીને માર મારી અસલ બાનાખત પરત આપવાની કબુલાત કરાવી ફરીયાદીને ગે.કા.અટકાયતમાં રાખી આરોપીઓ પોતે પોલીસ ખાતામાં રાજય સેવક તરીકે ફરજ બજાવતા હોય તેમ છતા કાયદાના આદેશની અવગણના કરી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખતા ગુન્હો કર્યા બાબત ધ્યાને આવતા આખરે રાજકોટ પોલીસે આઇ.પી.સી. કલમ-342, 330, 347, 348, 166, 323, 504, 506, 34 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.