વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.
લોકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
લોકોએ એકત્ર થઈને ‘હમારી માંગે પૂરી કરો પૂરી કરો, અમને પાણી પૂરું પાડું, નેતા ખુરશી ખાલી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓમાં પિવાના પાણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા આ સોસાયટીના લોકોની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કોઈ પણ મતદાન કરશે નહીં તેવો નિર્ણય લોકોએ કર્યો છે. તેમજ આગળ પણ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
બેનરમાં આવું લખાણ લખવામાં આવ્યું
ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઇટ નથી
સ્થાનિક લોકોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, નથી કોઈ પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટ નથી, અરજીઓ પણ કરી છે, રાત્રે ચાલવું કેવી રીતે. આ વિસ્તાર બાંગ્લાદેશમાં રહેતો હોય તેવું જ અમારી સાથે પ્રશાસન વ્યવહાર કરે છે.
અનેકવાર રજૂઆત કરી પણ કોઈ જવાબ દેતું નથી
મોટામવાની આંગણ ગ્રીન સોસાયટીમાં રહેતા હરસુખભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, હું અહીં છેલ્લા 10 વર્ષથી રહું છું. અમે પ્રાથમિક સુવિધાઓ માટે જે-તે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ વિસ્તારમાં દર મહિને બેથી અઢી હજારનું પાણી વેચાતું લેવું પડે છે. આવડી મોટી સમસ્યાનું મેયર અને કોર્પોરેટને ધ્યાન દોર્યું હોવા છતાં આજદિન સુધી જવાબ આપ્યો નથી.
પ્રાથમિક સુવિધાની ખાતરી આપો નહીંતર મતદાન બહિષ્કાર
હરસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આથી અમે નિર્ણય કર્યો છે કે, આ વખતે તંત્રને હરકતમાં લેવા માટે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. અમને જ્યાં સુધી પાણી આપવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારો બહિષ્કાર ચાલુ રહેશે. મોટામવાની 25 સોસાયટી છે અને 20 હજાર મતદારો છે. આગળનો કાર્યક્રમ પણ ગાંધીચિંધ્યા માર્ગે ચાલુ જ રહેવાનો છે જ્યાં સુધી અમારી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.