ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ગઈકાલે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી ભાજપમાં આંતરિક જૂથવાદનો ઉકળતો ચરું જોવા મળતો હતો. જેના વચ્ચે પ્રદેશ અધ્યક્ષે તેનું વર્ચસ્વ સાબિત કરી દીધું હતું. અને વિજય રૂપાણી કે ભારદ્વાજનાં બદલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયા તેમજ ધારાસભ્ય ગોવિંદ પટેલનું કદ વધ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. બીજીતરફ સંઘનાં દિગ્ગજ નેતા ચીમન શુક્લનાં પુત્ર કશ્યપ શુક્લ પણ કમબેક કરે તેવા સંકેતો પાટીલની હાજરીમાં જોવા મળ્યા છે. સાથે જ ભાજપમાં કોઈ જૂથવાદ નહીં હોવાનું પણ પાટીલે કહ્યું હતું.
વિજયભાઈ વગર પણ બધું ચાલશે નગર શ્રેષ્ઠીઓને પાટીલની ખાતરી
શહેરનાં યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે આજે શહેરનાં ઉદ્યોગકારો સાથે પાટીલનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પાટીલે ઉદ્યોગકારોને તેમજ ત્યાં હાજર નગર શ્રેષ્ઠીઓને જણાવ્યું હતું કે, વિજય રૂપાણીના સમયમાં જે કોઈ પ્રોજેકટ આવ્યા છે તે પૂર્ણ કરવામાં આવશે. એઇમ્સ સહિતનાં રાજકોટનાં વિકાસનાં તમામ કામો માટે જરૂરી ગ્રાન્ટ સહિતની મદદ ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પુરી પાડવામાં આવનાર હોવાની ખાતરી પણ પટેલે આપી હતી. અને તમામને વિજયભાઈ વગર પણ બધું ચાલશે તેવો આડકતરો ઈશારો કર્યો હતો.
બ્રહ્મસમાજનાં બાળકોનાં ભણતર અંગેની યોજનામાં પાટીલની સૂચક હાજરી
સંઘનાં દિગ્ગજ નેતા ચીમન શુક્લનાં પુત્ર કશ્યપ શુક્લ દ્વારા બ્રહ્મસમાજ બાળકોને ભણતર માટેની આર્થિક મદદ મળી રહે તે માટેની એક યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમની પત્રિકાને લઈને રામ મોકરીયા અને ગોવિંદ પટેલ તેમજ વિજય રૂપાણીમાં જાહેરમાં ચકમક જરી હતી. જેમાં રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, માળખું બદલ્યું પણ મગજ નથી બદલતા, તેમના આ નિવેદનથી ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ પાટીલની સૂચક હાજરી જોવા મળી હતી. જેને લઈને કશ્યપ શુક્લનું કદ વધ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.
2022માં પણ પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી રણનીતિ
ભાજપનાં કોઈપણ નાના કાર્યક્રમમાં તૈયારીથી લઈને વિદાય સુધી નીતિન ભારદ્વાજ કમાન સાંભળતા હતા. પરંતુ રૂપાણીનાં ખાસ ગણાતા ભારદ્વાજ આજે વિજય રૂપાણીની જેમ એકપણ કાર્યક્રમમાં ન દેખાતા કાર્યકરોમાં પણ જૂથવાદનો ગણગણાટ સંભળાયો હતો. બીજીતરફ વજુભાઇ પણ હાજર ન રહે તેવી વાત હતી. પરંતુ પાટીલ સામે ચાલીને વજુભાઇને મળવા પહોંચ્યા હતા. અને બંધ બારણે બેઠક યોજી મોકરીયાને પ્રમોટ કરવાની ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજીતરફ નરેશ પટેલને પણ સામે ચલી મળવા ગયા હતા. અને તેની સાથે પણ બેઠક યોજી હતી. જેમાં 2022માં પણ પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી રણનીતિ ઘડાશે તેવી માહિતી સૂત્રોમાંથી મળી છે.
રૂપાણીની નજીકના જોગીઓનાં મોઢા પડી ગયા
જસદણમાં બોધરા-બાવાળીયાની આંતરિક લડાઈ અગાઉ અનેકવાર ચર્ચાનો વિષય બની ચુકી છે. પણ પાટીલની સાવ નજીક હોય તેમ બોધરાનું કદ આજે જોવા મળ્યું હતું. આગામી ચૂંટણીમાં બાવાળીયાનાં બદલે બોધરા વિધાનસભા ચૂંટણી લડે તો નવાઈ નહીં. ગઈકાલના સમગ્ર પાટીલ પાવરનાં કાર્યક્રમમાં જૂના અને રૂપાણીની નજીકના જોગીઓનાં મોઢા પડી ગયા હતાં અને બોડી લેંગ્વેજ નબળી જોવા મળી હતી. પાટીલનો કાર્યક્રમો પાવરફુલ રહેતા જુના જોગીઓ મને ક મને હસતા રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.