રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન દ્વારા પોતાના પારિવારિક ઝઘડાનું વેર રાખી સમાધાન માટે વચ્ચે પડેલા GST કર્મચારી પર આર્મીમેને પોતાના પરવાનાવાળા વેપનમાંથી 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા આર્મીમેનના હાથે GST કર્મચારીનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે ફાયરિંગ કરનાર સહિત 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીના પારિવારિક ઝઘડામાં આર્મીમેન અજિલ તેના ભાઈ અર્શીલે અને અર્શીલની પત્ની સાનિયાના મામાને ઘેર રેલનગર વિસ્તારમાં પહોંચી તોડફોડ કરી હતી અને બાદમાં ત્યાંથી પરત ફરતા સમયે જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બબાલ કરી હતી.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઇના જણાવ્યા મુજબ, જામનગર રોડ પર આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અર્શીલ ખોખર અને પત્ની સાનિયા ખોખરને પારિવારિક ઝઘડો થયો હતો. બન્ને પક્ષે સામસામે ઝગડામાં ત્યાંથી પસાર થતા વાહન ચાલક સુભાષ દાતીએ વચ્ચે પડી છોડાવવા પ્રયાસ કર્યો હતો. જેથી આર્મીમેને પોતાના પરવાનાવાળી વેપનમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા સુભાષ દાતીનું મોત નીપજ્યું હતું. સુભાષ દાતી GST ઓફિસમાં ફરજ બજાવતા હતા. જેનું મોત નિપજતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક દોડી જઈ ફાયરિંગ કરનાર આર્મીમેન તેના ભાઈ સહીત 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ કંટ્રોલ રૂમ પર ફાયરિંગની જાણ થતા તત્કાલિન અસરથી રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકરીઓ તેમજ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી પાડવા દોડધામ શરૂ કરી હતી અને જીવના જોખમે પોલીસે આર્મીમેન સહીત 3ની ધરપકડ કરી હતી અને હથિયાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.