એજ્યુકેશન:યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો કોર્સ શરૂ કરાશે, સાયન્સના વિદ્યાર્થીઓ રિસર્ચ કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર શરૂ: સંસ્થાઓ સાથે MOU કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી તથા કેન્દ્રની આગામી વિવિધ પ્રવૃત્તિઓ તથા તથા કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થાય, ગાય આધારિત ખેતીને વેગ મળે, વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન કરાવવા, ગાય આધારિત ઉદ્યોગોની માહિતી અને સંશોધન કરવું, છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચે, મૂલ્યયુક્ત શિક્ષણ તરીકે ગાયનું જતન અને પાવિત્ર્ય અંગેની જાગૃતિ ફેલાવવી આ બધા કેન્દ્રના મુખ્ય હેતુ છે. ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના નિયામક તરીકે સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડો. ભરત ખેરની નિયુક્તિ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં સૌ પ્રથમ ‘ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી છે. સોમવારે મળેલ સલાહકાર સમિતિની મિટિંગમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રએ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને ગીર ગૌ જતન સંસ્થા, ગોંડલ સાથે એમ.ઓ.યુ. કરી આ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવશે.

કેન્દ્ર દ્વારા કોલેજોના વિદ્યાર્થીઓ આ કેન્દ્રની પ્રવૃત્તિઓ સાથે જોડાય એ માટે એન.એસ.એસ.ની પ્રવૃત્તિમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના વિષયનો સમાવેશ કરવામાં આવશે. ભારત સરકારના ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ, ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર એ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીને વેગ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી વિષય આધારિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

સલાહકાર સમિતિના સભ્ય ડો. સી.કે. ટીંબડિયા એ જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની મિટિંગમાં ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સભાનું આયોજન, પ્રાકૃતિક ખેતી અંગેની શિબિરનું આયોજન, તાલીમ, વિવિધ ગાય આધારિત ખેતીની રીત વિશે માહિતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના કાર્યો, બજેટની જોગવાઈ, કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...