રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે આજે ગોંડલના વાતાવરણમાં સવારે પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસી જતાં રસ્તા પર પાણી ભરાયાં હતાં. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ અસહ્ય ગરમામાંથી રાહત અનુભવી હતી. વરસાદ આવતાં જ ગોંડલ પંથકના ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી છે.
કપાસ, મગફળી, એરંડા, મગ, અડદ સહિતના પાક પર તોળાતું સંકટ
મેઘરાજા રિસાય જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાઈ રહ્યું છે. વિવિધ પાકો સુકાવા કગાર પર છે તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઊંચા આવ્યા નથી, આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યા છે. ધોધમાર વરસાદ વરસે એવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.
આટકોટમાં પણ ઝરમર વરસાદ
આટકોટમા વરસાદી ઝાપટું વરસ્યું હતું. ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદના આજે ઝાપટાં શરૂ થયાં છે. ઘણા દિવસ પછી આજે વરસાદી ઝાપટાં વરસતાં રસ્તા ભીના થયા હતા.
જિલ્લાના 6 ડેમમાંથી સિંચાઈનું પાણી અપાશે
ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતાં ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.
સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલી વાવણી બાદ વરસાદ ન વરસતાં પાક નિષ્ફ્ળ જવાની ભીતિએ જગતનો તાત મેહુલિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સમયે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સિંચાઈ વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં જળાશયોની હાલની સ્થિતિ જોઈએ તો કુલ 38% જથ્થો છે, જેમાંથી આ સ્થિતિ મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો માત્ર 100 જેટલાં ગામોને 14725 હેકટર સિંચાઈનું કુલ 51257 MCFT પાણી આપી શકાય એવી સ્થિતિ છે. ત્યારે જે તાલુકા અને ગામડાંમાંથી સિંચાઈ પાણી માટે માગ કરવામાં આવશે એને સલાહકાર સમિતિ મીટિંગ કર્યા બાદ નિયમ તથા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે.
(હિમાંશુ પુરોહિત-દેવાંગ ભોજાણીઃ ગોંડલ)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.