રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ સત્વરે ફાળવવા માંગ કરી છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારીના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય અમારી અનેકવિધ રજુઆતો બાદ 2021-22ના નાણાકીય વર્ષના અંતે છેક 11 મહિના બાદ કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિલંબના અંતે પ્રજાની સુવિધા, વિકાસ, કલ્યાણલક્ષી કાર્યો ન થઇ શક્યા, હવે શું ફક્ત 28 દિવસમાં જ જનભાગીદારીના કાર્યો થશે? તેવો સવાલ કર્યો છે.
રાજકોટમાં 32.54 કરોડના કામ સુચવવામાં આવ્યા હતા
મુખ્યમંત્રી અને રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના જુદા જુદા કામો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડના મળી કુલ રૂ. 32.54 કરોડના કુલ 328 કામો સુચવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા તમામ કામોને અને આ માટે 70 ટકા મુજબ રૂ.22.78 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
મનપાના ખાતામાં એકપણ રૂપિયો જમા થયો નથી
આ નાણા ફાળવવા ફક્ત જાહેરાત કરી છે, હજુ સુધી મહાનગરપાલિકાના એકાઉન્ટમાં એકપણ રૂપિયો જમા થયો નથી અને કોઈ જ ગ્રાન્ટ મળી નથી. આથી અમે મુખ્યમંત્રીને જન ભાગીદારીના કામો માટે સત્વરે જાહેરાત કરેલી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે. આથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડના કામોને વેગ મળી શકે તેવું ભાનુબેન સોરાણીએ અંતમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.