જગતનો તાત બેહાલ:રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ધરતીપુત્રો ચિંતાતુર, ખેતીવાડી અધિકારીએ કહ્યું- ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહ્યું છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડધરી અને વીંછિયામાં સીઝનનો કુલ વરસાદ માત્ર ચાર ઇંચ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને કાગડોળે મેહુલિયાની રાહ જોઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવાએ જણાવ્યું હતું કે ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહ્યું છે. આગામી અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની અણીએ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડધરી અને વીછિંયામાં સીઝનનો કુલ વરસાદ માત્ર ચાર ઈંચ નોંધાયો છે.

ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવા.
ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવા.

વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે
અષાઢ મહિનો પૂરો થઇ ગયો અને શ્રાવણ માસની શરૂઆત થઇ છતાં પણ વરસાદ ન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતોએ વાવેલાં મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકો સુકાઈ રહ્યો છે અને વરસાદ નહિ પડવાને કારણે ખેડૂતોની મહેનત બાદ નુકસાની જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

બે-બે વખત વાવેતર કરવું પડ્યું હતું
આ અંગે ઉપલેટાના ખેડૂત રમેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે ઉપલેટા પંથકમાં વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતાં વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થવાની ભીંતી છે. એટલું જ નહિ, ઘણાખરા ખેડૂતોને બે-બે વખત વાવેતર કરવું પડ્યું હતું, ત્યારે આ વાવણી બાદ વાવેલા પાકોમાં નહિવત જેટલો જ વરસાદ હોવાથી મગફળી, કપાસ જેવા પાકોમાં વરસાદને અભાવે સુકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

પાકને નુકસાન થવાની ભીંતી છે : ખેડૂત રમેશભાઈ ડાંગર.
પાકને નુકસાન થવાની ભીંતી છે : ખેડૂત રમેશભાઈ ડાંગર.

કૂવાઓ પણ તળિયાઝાટક થઈ ગયા છે
આ સાથે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે જો આગામી આઠ કે દસ દિવસમાં સારો વરસાદ નહિ વરસે તો આ વર્ષે વાવેતર કરેલા પાકો ફેલ થઈ જવાની પૂરી શક્યતાઓ સર્જાઈ રહી છે ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ સારોએવો વરસાદ વરસ્યો જ નથી, જેને લઈને વાડી, કૂવા કે બોરમાં પણ પૂરતા પાણી ચડ્યા નથી અને કૂવાઓ પણ તળિયાઝાટક થઈ ગયા છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે
રાજકોટમાં સીઝનનો 21 ઈંચ વરસાદ પડયો છે, પરંતુ રાજકોટ જિલ્લાના પડધરી અને વીંછિયામાં સીઝનનો કુલ વરસાદ હજુ ચાર ઈંચ જેટલો માંડ થયો છે. આ પંથકમાં સારો વાવણીલાયક વરસાદ પણ હજુ પડયો નથી. વીરપુર પંથકમાં પણ ઓછો વરસાદ પડયો હોઈ, ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી સપ્તાહમાં સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. વાડી કૂવા કે બોરમાં પણ પાણી ચડયા ન હોઈ, સુકાઈ રહેલા પાકને કેવી રીતે પાણી આપવું એ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ક્યા પાકને કેટલું નુકસાન ?

  • મગફળી- 275 લાખ હેકટર
  • કપાસ- 198 લાખ હેક્ટર
  • સોયાબીન- 10.5 હજાર હેક્ટર
  • ઘાસચારો- 10 હજાર હેક્ટર