‘એક દૂજે કે લીયે’:રાજકોટના પતિએ સાત ફેરાનાં વચનો નિભાવ્યાં, બંને કિડની ફેલ પત્નીને એક કિડની આપી નવજીવન આપ્યું, પતિએ કહ્યું- એક કિડનીમાં પણ સારું જીવી શકાય

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • પત્નીનું પાંચેક મહિના સુધી ડાયાલિસીસ કર્યા બાદ કિડની બદલવાની જરૂરિયાત ઊભી થઈ
  • મને મારાં રૂટિન કામો કરવામાં ક્યારેય કોઈ તકલીફ પડતી નથી, પતિધર્મ નિભાવ્યોઃ પતિ

આજે વર્લ્ડ ઓર્ગન ડે છે. કહેવાય છે કે જો સાચો જીવન સંગીની મળે તો જીવન બદલાય જાય છે. સપ્તપદીમાં આપેલા વચનો નિભાવનારા કિસ્સા હવે જવલ્લે જ જોવા મળે છે. ત્યારે રાજકોટના વૃદ્ધ દંપતીનો કિસ્સો દાંપત્ય જીવનને જીવી જાણ્યો છે. બે વર્ષથી પત્ની કિડનીની બીમારીથી પીડાતી હતી. પતિએ એક સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાની એક કિડની પત્નીને આપી નવજીવન આપી દીધું અને કહ્યું એક કિડની પર પણ સરસ જીવી જ શકાય. આમ કરવાથી કોઈ નુકસાન થતું નથી. અન્ય લોકોને અંગદાન માટે આગળ આવવા અપીલ કરું છું.

હું અને મારી પત્ની બંને બિલકુલ સ્વસ્થ છીએઃ પતિ
પત્નીને કિડની આપનાર 63 વર્ષીય ગોવિંદભાઈ સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારી પત્ની દિવાળીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેને લઈને ડોક્ટરની સલાહ લેતાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. બાદમાં મેં કિડની આપવાનો નિર્ણય કરતાં ડોક્ટરે મારા નિર્ણયને આવકાર્યો હતો. જરૂરી ટેસ્ટ વગેરે કર્યા બાદ મારી કિડની પત્નીને આપવામાં આવી હતી. આ ઓપરેશનને આજે 6 મહિના થઈ ચૂક્યા છે. હું અને મારી પત્ની બંને બિલકુલ સ્વસ્થ છીએ.

કિડનીની જરૂરિયાત ઊભી થતાં જ પતિ તૈયાર થઈ ગયા.
કિડનીની જરૂરિયાત ઊભી થતાં જ પતિ તૈયાર થઈ ગયા.

દિવાળીબેનનું પાંચેક મહિના સુધી ડાયાલિસિસ કરવામાં આવ્યું
મને મારાં રૂટિન કામો કરવામાં ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. અને પત્નીની જિંદગી બચાવી પતિધર્મ નિભાવ્યાનો આનંદ છે. ત્યારે લોકોએ પણ અન્યનો જીવ બચાવવા અંગદાન કરવા આગળ આવવું જોઈએ. બીજી તરફ પત્ની દિવાળીબેને પણ પતિ પર ગર્વ હોવાનું જણાવી નવજીવન મળ્યા બાદ પોતે બિલકુલ સ્વસ્થ હોવાનું કહ્યું હતું. આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડનાર ડો.દિવ્યેશભાઈ વિરોજાએ જણાવ્યું હતું કે દિવાળીબેનનું પાંચેક મહિના સુધી ડાયાલિસિસ કર્યા બાદ કિડની બદલવી જરૂરી હોવાનું જણાયું હતું. જેને લઈને તેમના પરિવારે અને મેં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમના પતિએ જાતે ડોનર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો.દિવ્યેશભાઈ વિરોજા.
કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો.દિવ્યેશભાઈ વિરોજા.

કિડની ટ્રાન્સપ્લાન્ટને લઇ પરિવારમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા
જોકે કિડની ટ્રાન્સપ્લાન્ટને લઇને પરિવારને ઘણા પ્રશ્નો હતા. જેમાં કિડની આપનારને તેનાં જીવનમાં ઘણી મુશ્કેલી પડે છે. અને એક કિડની દ્વારા સારી રીતે જીવી શકાતું નથી જેવા પ્રશ્નો પરિવારે ઉઠાવ્યા હતા. પરંતુ તેઓના આ તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ડોક્ટરે આપ્યા બાદ પરિવારે ગોવિંદભાઈને આ માટેની મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રિ- ટ્રાન્સપ્લાન્ટ વર્કઅપ કરીને છ મહિના પહેલા જ આ કામ પાર પાડ્યું હતું.

કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાને 6 મહિના બાદ દંપતી ખુશખુશાલ.
કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાને 6 મહિના બાદ દંપતી ખુશખુશાલ.

6 મહિના બાદ આ દંપતીને કોઈ તકલીફ નથીઃ ડોક્ટર
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આજે 6 મહિના બાદ આ દંપતીને કોઈ તકલીફ નથી અને બંને સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યાં છે. પોતે અંગદાન માટેની ખાસ મુહિમ ચલાવતા હોવાનું જણાવી તેમણે અત્યાર સુધીમાં 180 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 100 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 2 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ અનેક લોકોના ચક્ષુદાન કરાવ્યા હોવાનું પણ કહ્યું હતું. સાથે જ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે પરિવારે તરત જ તેનું અંગદાન કરી અન્યનાં જીવ બચાવવા આગળ આવવા અપીલ પણ તેમણે કરી છે.