રાજકોટ શહેરના બહુમાળી ભવનમાં ત્રીજા માળે બેસતી GST કચેરીના રાજ્ય વેરા અધિકારી વિક્રમ દેવરખીભાઇ કનારા, રાજ્ય વેરા નિરીક્ષક અજય શિવશંકરભાઇ મહેતા તથા GST નિવૃત્ત ઇન્સ્પેક્ટર મનસુખલાલ બચુલાલ હિરપરાને રાજકોટ ACBની ટીમે રૂ. 3.50 લાખની લાંચ લેતાં ઝડપી લીધા હતા. ત્રણેયને રાત લોકઅપમાં વિતાવવાની વેળા આવી ગઇ હતી. GST અધિકારીઓ, કર્મચારીઓ અને વેપારીઓને યેનકેન પ્રકારે હેરાન કરતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન ગઇકાલે લોખંડના વેપારીની ટ્રક રોકી બીલ સાચા હોવા છતાં ખોટા છે તેવું કહી વેપારી પાસેથી પતાવટ માટે 8 લાખ માગ્યા બાદ ચાર લાખમાં સોદો નક્કી કરી રૂ. સાડા ત્રણ લાખની લાંચ મગાઇ હતી. ઘરની જડતી દરમિયાન અધિકારી વિક્રમ કનારાના ઘરમાંથી સાતેક લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યુ઼ં છે.
આરોપીઓએ પહેલા 8 લાખની માગણી કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી શહેરના લોખંડના વેપારીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર GIDC ખાતે જતા હતા. દરમિયાન આરોપીઓ વિક્રમ કનારા અને અજય મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલા માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી GSTની કલમ હેઠળ ડિટેઇન કરવાનું કહેતાં વેપારીએ તથા તેમના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો GSTના કાયદા મુજબ ડિટેઇન ન કરવા અને જવા દેવા બદલ નિવૃત્ત અધિકારી હીરપરા મારફતે ફરિયાદી વેપારી તથા તેમના ભાગીદાર સાથે વાતચીત કરી રૂ. 8 લાખની લાંચની માગણી કરી હતી.
રકઝકના અંતે ત્રણેય આરોપીઓએ 4 લાખની માગણી કરી હતી
રકઝકના અંતે ત્રણેય આરોપીઓએ મળી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.4 લાખની લાંચ લેવાનું નક્કી કરી બંને ટ્રકો જવા દીધી અને આ લાંચના નાણાં પૈકી રૂ. 50 હજાર હીરપરાને અન્ય બે અધિકારી વતી બીજા દિવસે સ્વીકાર્યા હતાં. બાકી રહેતા રૂ.3.50 લાખ અધિકારીઓ કનારા અને મહેતાએ વચેટીયા બનેલા નિવૃત્ત અધિકારી હીરપરા પાસે સતત ઉઘરાણી કરતાં હીરપરાએ ફરીયાદી વેપારી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી ચાલુ કરી હતી.
ACBએ ગઇકાલે જ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા
વેપારી આવી રકમ આપવા માગતા ન હોય જેથી ACBમાં ફરિયાદ કરતા ગઇકાલે ભુતખાના ચોક પેટ્રોલ પંપ સામે બિઝનેસ સેન્ટર નજીક ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સ નામની દુકાને ACBએ છટકુ ગોઠવ્યું હતું. જેમાં કનારા અને મહેતાવતી આરોપી હીરપરાએ અગાઉ થયેલી વાતચીત મુજબના રૂ.3,50,000 ફરિયાદી વેપારી પાસેથી સ્વીકારતાં જ તેને ACBની ટીમે રંગેહાથ પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ પછી વિક્રમ કનારા અને અજય મહેતાને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં.
ACBની ટીમોએ આજે ત્રણેયના ઘરની જડતી લીધી
ઝડપાયેલા બે મુખ્ય અધિકારીઓ વિક્રમ કનારા અને અજય મહેતાએ લાંચની રકમ મેળવવા નિવૃત્ત અધિકારી મનસુખ હીરપરાની મદદ માગતા તેણે મદદ કરવાને બદલે પોતાનો પણ ભાગ થશે તેમ કહી વચેટીયા બની લાંચ સ્વીકારી હતી. નિયમ મુજબ ACBની ટીમે ત્રણેયના ઘરની જડતી કરી હતી. એસીબીના સુત્રોના કહેવા મુજબ મનસુખ હીરપરા અગાઉ પણ બોગસ રિફંડના કેસમાં સંડોવાય ચૂક્યા છે. જોકે, જામનગર ACB પીઆઇ પરમારે અધિકારી કનારાના ઘરે જડતી કરતાં સાતેક લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. તેમજ પીઆઇ સોલંકીએ અધિકારી મહેતાની ઘરે તલાશી-જડતી લીધી હતી. અહિથી કંઇ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. રિમાન્ડ સહિતની કાર્યવાહી હવે સુરેન્દ્રનગર ACB પોલીસની ટીમ કરશે.
આ રીતે ત્રણેય આરોપીની અટકાયત કરાઇ હતી
વચેટીયા તરીકે હીરપરાને ભુતખાના ચોકમાંથી ઝડપી લીધા બાદ ACBની ટીમો વિક્રમ કનારા અને અજય મહેતાના ઘરે તેને પકડવા પહોંચી હતી. ત્યારે મહેતાએ આગલા દિવસે નાઇટ કરી હોય તે ઉંઘી રહ્યા હોય ઉઠાડીને અટકાયત કરી હતી. જ્યારે કનારા ઘરે ન હોય ચારેક કલાકની શોધખોળ બાદ તેને પણ અટકાયતમાં લઇ લેવાયા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.