ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈ દ્વારા રાજકોટના જેતપુરમાં રેડિએશન ટેકનોલોજી બેઇઝ્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્લાન્ટના બે યુનિટમાં પ્રતિ યુનિટ 40 હજાર લીટર કલરયુક્ત પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે. એટલે કે બે યુનિટમાં 80 હજાર લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે.
પ્લાન્ટમાંથી કલરવાળુ પાણી શુદ્ધ થઈને બહાર નીકળશે
ડો.અજીતકુમાર મોહંતીએ જણાવ્યું હતું કે, પરમાણુ ઊર્જા રેડિએશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્લાન્ટનો પ્રયોગ સફળ થતા પ્લાન્ટમાંથી કલરવાળુ પાણી શુદ્ધ થઈને બહાર નીકળશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત-પ્રદૂષણમુક્ત ભારત-હરિયાળા ભારત’ અભિયાનમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનુ આ એક મહત્વનું કદમ છે. આ ટેકનોલોજીથી કલરવાળું પાણી શુદ્ધ થશે અને તેનો પુનઃ વપરાશ ઉદ્યોગો ઉપરાંત અન્ય ઘણા હેતુઓ માટે થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના મિશનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
જેતપુરમાં મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રિસર્ચ થશે
મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, જેતપુરમાં ઉપયોગમાં મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રિસર્ચ થશે. એસોસિએશનના સહયોગથી સંશોધનની કામગીરી આગળ વધશે. તેઓએ આ ટેકનોલોજી વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા હતા. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે CEPT સાઇટ પર એસોસિએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્ધિકરણ માટેના બે પ્રાયોગિક યુનિટ મુકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેક્ટરની હાજરીમાં પાણીનું પૃથક્કરણ કરતા કલરવાળુ પાણી છૂટું પડ્યા પછી શુદ્ધ પાણીનું PH લેવલ 7 ન્યુટ્રલ વેલ્યુ આવતા હવે RO દ્વારા પાણી વધુ શુદ્ધ થવાનુ શક્ય બન્યું છે.
પ્લાન્ટના બે યુનિટ પાણીમાંથી કલરને અલગ પાડે છે
આ વિષય ઉપર કામ કરનાર ટીમના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના RTDDના ડો.વાય.કે. ભારદ્વાજે જણાવ્યું હતું. તેઓએ સમગ્ર પ્લાન્ટની ટેકનિકલ માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, પ્રાકૃતિક પોલીમર સેલ્યુલોઝને રેડિએશનથી મોડીફાય કરીને ટેકનોલોજી તૈયાર કરતા કલરવાળા પાણીમાંથી આ યુનિટ કલરને અલગ પાડે છે. બે વર્ષ સુધી કરવામાં આવેલા સંશોધનનુ આ સફળ પરિણામ છે. આ બે યુનિટમાં પ્રતિ યુનિટ 40,000 લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે. જેમ જરૂરિયાત વધશે તેમ ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રની દેખરેખ હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના સહકારથી આ કામગીરીનો વિસ્તાર વધારવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.