તમિલનાડુમાં સમુદ્રી તોફાન મેન્ડોસના પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્રમાં ભાવનગરને બાદ કરતા તેની કોઈ અસર વર્તાશે નહિ તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. કાલે સોમવારથી બે ડિગ્રી તાપમાન વધશે અને લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે. ગુરુવારે વાદળછાયું વાતાવરણ રહેશે.
શનિવારે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન કેશોદમાં 12.2 ડિગ્રી રહ્યું હતું. જ્યારે અમરેલી, ભાવનગર, પોરબંદર અને રાજકોટ એમ ચાર જિલ્લામાં 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 18.2, સુરેન્દ્રનગર 15.5, મહુુવા 13.5 ડિગ્રી હતું. સૌથી ઊંચું તાપમાન ઓખામાં 22 ડિગ્રી હતું. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સૌથી વધુ રાજકોટ, પોરબંદર, મહુવામાં 31 ડિગ્રીની નજીક રહ્યું હતું. સવારે પવનની ઝડપ સવારે 6 કિલોમીટર પ્રતિકલાક રહી હતી.
જ્યારે દિવસે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઈ હતી. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર 15 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહેશે. શુક્રવાર સુધી લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.