રાજકોટ શહેરમાં ગો ગ્રીન યોજના હેઠળ પરિણામલક્ષી વૃક્ષારોપણનું અભિયાન મહાપાલિકા ચલાવી રહી છે. ત્યારે આજે શહેરના પોશ એરિયામાં બે વૃક્ષનું છેદન કરવામાં આવતા ડે.કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને બંગલાના માલિકને નોટિસ ફટકારી હતી.
ગઇકાલે કે આજે જ આ બંને વૃક્ષ કપાયાનું જાણવા મળ્યું
શહેરના વોર્ડ નં.7માં LIC કચેરી પાછળ જનકલ્યાણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના શેરી નં.2માં સ્વસ્તિક નામનું મકાન છે. આ મકાનની દીવાલને અડીને વર્ષો જૂના લીમડા સહિતના બે વૃક્ષ અર્ધા અને પોણા કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગેની જાણ મનપા ગાર્ડન શાખાના અધિકારી ચૌહાણને થતા તેઓએ તુરંત ડે.કમિશનર એ.આર. સિંહને જાણ કરી હતી. આથી અધિકારીઓ આ શેરીમાં પહોંચ્યા હતા અને તપાસ કરતા ગઇકાલે કે આજે જ આ બંને વૃક્ષ કપાયાનું લાગ્યું હતું.
કોઇપણ પ્રકારનું નડતરરૂપ ન હોવા છતાં બે વૃક્ષ કાપ્યા
જનકલ્યાણ-2માં પ્લોટ નં.16માં રહેતા જયસુખભાઇ ઘોડાસરાને આ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. આ સ્થળે કોઇપણ પ્રકારનું નડતરરૂપ ન હોવા છતાં વૃક્ષ અને વૃક્ષની ડાળી કાપીને પર્યાવરણને નુકસાન કર્યું છે. લાકડાનો જથ્થો પણ લઇ જવામાં આવ્યો છે. આથી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે 7 દિવસમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.