સાયલામાંથી દારૂ ભરેલાકન્ટેઇનર સાથે ડ્રાઇવરનું અપહરણ કરનાર રાજકોટ ક્રાઇમ બ્રાંચના કરતૂતથી સમસ્ત પોલીસબેડાને લાંછન લગાડ્યું છે, આ ઘટનામાં જવાબદાર મહિલા પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ આવી ઘટના ભવિષ્યમાં બને નહીં તે માટે ક્રાઇમ બ્રાંચમાં પેધી ગયેલા અને વિવાદાસ્પદ ભૂમિકા ભજવતા સ્ટાફને હટાવવાની શરૂઆત ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે કરી છે અન ક્રાઈમ બ્રાંચના 16 જેટલા પોલીસ સ્ટાફનીઆંતરિક બદલી કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં કોઇને કોઇ વિવાદમાં રહેલા સ્ટાફને પણ મહત્ત્વની જગ્યા પરથી દૂર કરવામાં આવશે.
પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી
તત્ક્લીન પોલીસ મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચે આચરેલા કમિશનકાંડના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.રાજકોટમાં પોલીસ માટે લાંછનરૂપ તોડકાંડ બાદ કમિશનર તરીકે જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેમજ ક્રાઇમ બ્રાંચની કથળેલી હાલત સરખી થાય તે માટે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની પણ નિમણૂક કરવામાં આવી હતી. જો કે, દારૂકાંડને પગલે ફરી ક્રાઈમ બ્રાન્ચ વિવાદમાં આવતા ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ક્રાઇમ બ્રાંચમાં સાફસૂફી શરુ કરી છે.એક જ જગ્યાએ ઘણા વર્ષથી ફરજ બજાવતા સ્ટાફને પણ બદલાવવામાં આવ્યા છે. વિવાદિત 7 પોલીસ બાદ વધુ 9 કર્મચારીઓની બદલીનો આદેશ કરતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.
વિવાદમાં રહેલા સ્ટાફને પણ દૂર કરવામાં આવશે
શરાબકાંડમાં સંડોવાયેલ મહિલા પીએસઆઈ સહીત 5 પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા બાદ વિવાદ અટકાવવા ક્રાઈમ બ્રાંચમાં ફેરફાર કર્યા છે અને ક્રાઈમ બ્રાંચના મહેશ મંઢ, જેન્તી ગોહેલ, આર કે જાડેજા, મયુર પટેલ, મનજી ડાંગર, અશોક ડાંગર, ઉમેશ ચાવડાને તેમના મૂળ સ્થાન પોલીસ મથકે પરત મોકલી દેવાનો હુકમ કર્યો હતો તે ઉપરાંત પુષ્પરાજસિહ અને ભગીરથસિહને એ ડીવીઝન, જયેશ નિમાવતને થોરાળા, ચેતનસિહ, વનરાજસિહ, સિદ્ધરાજસિહને કુવાડવા, વિક્રમભાઈને આજી ડેમ અને બીપીનભાઈ, કરણ મારૂને પ્ર.નગર પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતા અને કોઇને કોઇ વિવાદમાં રહેલા સ્ટાફને પણ મહત્ત્વની જગ્યા પરથી દૂર કરવામાં આવશે.
દારૂકાંડ કરતાં હોબાળો મચી ગયો
તત્કાલીન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાંચના કમિશનકાંડ બાદ તેને કારણે લેવાયેલા પગલાંથી શહેર પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન થયું હતું, આ સ્થિતિમાંથી પોલીસને બહાર કાઢવા કમિશનર ખુરશીદ અહેમદે ત્વરિત પગલાં લેતા સ્થિતિ થાળે પડતી થઇ હતી ત્યાં જ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઇ ભાવના કડછાની ટીમના ચાર કોન્સ્ટેબલે સાયલાનો દારૂકાંડ કરતાં હોબાળો મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.