શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને હવે તહેવારોની સિઝન આવી છે. જેમાં મીઠાઈ-ફરસાણનો સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી તેમાં ભેળસેળ કરનારા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે આજે ગાયત્રીનગર રોડ પર આવેલી મીઠાઈની દુકાન ઉમિયા ફરસાણમાં આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા હતા જેમાં ખાદ્યતેલની ચકાસણી, મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાયા હતા. આ અંગે નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે નિવેદન આપ્યું હતું કે,ફરસાણમાં ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વેપારીએ મીઠાઈ ક્યારે બની અને ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય તે લખવું ફરજીયાત રહેશે.
વેપારીઓએ દાજ્યું તેલ વાપરવાની મનાઈ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાણીપુરી સહિતનાં નાસ્તાનાં વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ શ્રાવણ માસના તહેવારો નજીક આવતા હવે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકીંગ કરી રહ્યા છીએ. જેમાં વેપારીઓએ દાજ્યું તેલ વાપરવાની મનાઈ છે. તેમજ ફરસાણ ક્યાં તેલમાંથી બનાવવામાં આવે છે તેનું બોર્ડ વેપારીએ લગાવવું પડશે.
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મીઠાઈનાં વેપારીઓએ મીઠાઈ હાઇજેનિક રાખવાની રહેશે અને મીઠાઈ ક્યારે બની છે તેમજ ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે તે લખવું ફરજીયાત છે. આવું નહિ કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત તેમણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.